હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. આ કૃષિમાં નવીન કૃષિ પદ્ધતિઓ, નવીન સંશોધનોનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, તેની જાણકારી મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટફોન આપવાની યોજના અમલમાં છે.
આ સ્માર્ટફોન દ્વારા ગુજરાતના છેવાડાના ગામમાં રહેલો ખેડૂત પણ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના તેમજ અન્ય રાજ્યના માર્કેટ, વિવિધ કૃષિ યુનિવર્સિટી તથા વિદેશમાં થઈ રહેલા નવા સંશોધનો વિશે જાણકારી મેળવીને તેનો પોતાની કૃષિમાં ઉપયોગ કરીને વધુ ઉત્પાદન અને વધુ નફામાં ફેરવી શકે છે.
ગુજરાતના ખેડૂતોને ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી કૃષિજગતની તમામ જાણકારી આંગળીના ટેરવે મળે તેમજ ખેડૂતો કૃષિના અદ્યતન જ્ઞાનથી વાકેફ થાય અને હવામાનમાં ફેરફારોની પળેપળની જાણકારી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સ્માર્ટફોનની ખરીદીની સહાય યોજના અમલીકૃત છે.
ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં જિલ્લાના ૩૪૮ જેટલા ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીનો લાભ મળ્યો છે. આ ખરીદી પર રૂ.૨૦ લાખ થી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાનાં ભેટાળી ગામનાં સ્માર્ટફોન યોજનાના લાભાર્થી ખેડૂત વિજયસિંહ ઝાલાએ આ અંગે જણાવ્યું હતું કે, સ્માર્ટફોન દ્વારા બિયારણો અને પાકમાં રાખવાની કાળજી અંગેની સચોટ માહિતી સ્માર્ટફોન થકી સરળતાથી મળી રહે છે. તેમજ વરસાદ અને વાવાઝોડા સહિતની આગોતરી માહિતી મળી રહે છે. તેનાથી સંભવિત અગાહીના અનુસંધાને આગોતરું આયોજન કરીને નુકસાનીથી બચી શકાય છે. આ સાથે, અલગ- અલગ માર્કેટિંગ યાર્ડમાં જણસના ભાવોની જાણકારી મેળવવાથી જણસના ઉત્પાદનના યોગ્ય ભાવ મેળવી શકીએ છીએ. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, પાકમાં સંભવિત રોગ-જીવાત ઉપદ્રવની માહિતી, કૃષિ જગતના પ્રકાશનો, નવીનતમ ખેતી પદ્ધતિ, ખેતીવાડી યોજનાઓ વગેરેની જાણકારી સ્માર્ટફોનના માધ્મયથી ખૂબ સરળતાથી મળી શકે છે. જેના કારણ સમયની સાથે નાણાનો બચાવ થાય છે.
સ્માર્ટફોન ખરીદી યોજના
આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર ખેડૂતોને મહત્તમ રૂ. ૬,૦૦૦ની સુધીની મળે છે. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા સહાય અથવા રૂ.૬,૦૦૦ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થાય છે.
સ્માર્ટફોન ખરીદી યોજનાનો લાભ કોને મળી શકે
સ્માર્ટફોન પર ખરીદી સહાય યોજનાનો લાભ રાજ્યમાં જમીનધારણ કરતાં તમામ ખેડૂતોને મળવાપાત્ર છે. આ યોજના હેઠળ સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને તેઓની જમીનના ૮-અમાં દર્શાવેલ પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થાય છે.
સ્માર્ટફોન ખરીદી યોજનાનો લાભ કઈ રીતે મળે
આ સ્માર્ટફોન ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહે છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતો પણ ડિજિટલ યુગમાં કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાઓના લાભ મેળવી અને અદ્યતન તકનીકો અપનાવી કૃષિ ક્ષેત્રે વિકાસના નવા આયામો ઉમેરે તે માટે નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતો વિકાસ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે તેનો લાભ લઈને ગુજરાતના ખેડૂતો નવીન કૃષિ પદ્ધતિ અપનાવવા સાથે દેશ અને દુનિયામાં ખેતી ક્ષેત્રે થયેલા અધ્યતન સંશોધનો, નવીન બિયારણો, નવીન પદ્ધતિઓ વિશે સ્માર્ટફોનના માધ્યમથી જાણકારી મેળવી અગ્રેસર બની રહ્યા છે.