પેટલાદ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, આણંદ 

      આણંદ જિલ્લાના પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના ૭૫ માં પ્રજાસતાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ જિલ્લા્ કલેકટર પ્રવીણ ચૌધરી સાથે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ એ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે કલેક્ટરએ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતી આપનાર અનેક નામી અનામી શહિદોને શાબ્દિક શ્રધ્ધાસુમન અર્પણ કરી ભારતના ભવ્ય અને પ્રેરક બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપનાર દૂરદર્શી જનનાયકો તથા અધિકારીઓને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરતાં જણાવ્યું હતુ કે, આપણા ગણતંત્રનું ૭૫ મુ વર્ષ અનેક અર્થોમાં દેશની યાત્રામાં એક ઐતિહાસિક પડાવ છે. સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગળ વધતાં અમૃતકાળના પ્રારંભિક દોરમાંથી પસાર થઈ રહેલા ભારત દેશના નાગરિકોને બંધારણમાં નિહિત, આપણા મૂળ કર્તવ્યોનું પાલન કરી આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો. 

તેમણે જણાવ્યું હતુ કે, આ સપ્તાહના આરંભમાં આપણે સૌએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના જન્મસ્થાન પર નિર્મિત ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાનો ઐતિહાસિક સમારંભ જોયો. આ મંદિર ન કેવળ જન જનની આસ્થાઓ વ્યક્ત કરે છે. પણ ન્યાયિક પ્રક્રિયામાં આપણા દેશવાસીઓની અગાધ આસ્થાનું પ્રમાણ પણ છે. 

કલેકટરએ છેલ્લા એક વર્ષમાં થયેલા કાર્યો બદલ પ્રસન્નતા વ્યક્ત કરતાં ઉમેર્યુ હતુ કે, ભારતની અધ્યક્ષતામાં દિલ્હીમાં G20 શિખર સંમેલનનું એક સફળ આયોજન, સંસદમાં પસાર થયેલું ઐતિહાસિક-મહિલા અનામત વિધેયક, નારીશક્તિ વંદન અધિનિયમ જેવા અનેક ઐતિહાસિક કાર્યો દેશમાં થયા છે. નારીશક્તિ વંદન અધિનિયમ એ મહિલા સશક્તીકરણનું એક ક્રાંતિકારી માધ્યમ સિદ્ધ થશે.

ભારત, ચંદ્રના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રમાં ઉતરનાર પ્રથમ દેશ બન્યો છે, અને ચંદ્રયાન-૩ પછી ઇસરોએ એક સૌર મિશન પણ શરૂ કર્યું છે. તેમ જણાવી કલેક્ટર ચૌધરીએ ઉમેર્યું હતુ કે, ISROના કાર્યક્રમો પ્રત્યે દેશવાસીઓમાં જે ઉત્સાહ દેખાય છે, તેનાથી નવી આશાઓનો સંચાર થાય છે. અંતરિક્ષ વિજ્ઞાનની આ નવી ઉપલબ્ધિઓથી યુવા પેઢીની કલ્પનાશક્તિને નવી પાંખો આપી છે. જેના પરીણામે આપણાં બાળકો અને યુવાનોમાં મોટા પાયા પર વિજ્ઞાન તરફ રુચિ વધશે અને તેઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત થશે. 

કલેકટર પ્રવીણ ચૌધરીએ કેન્દ્ર – રાજય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ વિવિધ લોકોપયોગી યોજનાઓ, નીતિઓ અને તેના અમલીકરણ માટે થયેલ નક્કર કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, કોરોના કાળ બાદ નબળા વર્ગની આબાદીને આર્થિક સંકટથી બહાર લાવવા માટે લોકોને સહાયતા મળે એ હેતુથી સરકારે ૮૧ કરોડથી વધુ લોકોને આવતા ૫ વર્ષ સુધી મફત અનાજ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત દરેક નાગરિકોના જીવનનિર્વાહને સુગમ બનવવા માટે અનેક સમયબદ્ધ યોજનાઓ પણ કાર્યાન્વિત કરવામાં આવી છે. ઘરમાં સુરક્ષિત અને પર્યાપ્ત પેયજળની ઉપલબ્ધતાથી લઈને, પોતાનું ઘર હોવાના સુરક્ષા-જનક અનુભવ સુધી, આ તમામ બુનિયાદી ન્યૂનતમ આવશ્યક્તાઓ છે. “આયુષ્માન ભારત યોજના”ના વિસ્તારીત સુરક્ષાકવચ અંતર્ગત દરેક લાભાર્થીઓને સામેલ કરવાનું લક્ષ્ય છે. આ સંરક્ષણથી ગરીબ અને નબળા વર્ગના લોકોમાં એક બહુ મોટો વિશ્વાસ જાગ્યો છે.

તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે વિકસિત ભારત@૨૦૪૭ ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા હાથ ધર્યા છે, તેમ જણાવતાં ઉમેર્યું હતુ કે, વાઈબ્રન્ટ ગુજરાત – ૨૦૨૪ ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩ માં વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવેલ હતી, જે અન્વયે તાજેતરમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાતના અમૃતકાલની પ્રથમ સમિટ માં ૩૫ દેશો પાર્ટનર તરીકે જોડાયા હતા.

કલેકટરએ આ તકે કૃષિ મહોત્સવ, રોજગાર ભરતી મેળાઓ, યાત્રાધામોના વિકાસ માટેના પગલાંઓનો ઉલ્લેખ કરી આઝાદીની આ અમૃતકાળની અવધિ દરમિયાન દેશમાં અભૂતપૂર્વ તકનીકી પરિવર્તન પણ થવા જઈ રહ્યું છે, તેમ જણાવ્યું હતુ. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા મશીન લર્નિંગ જેવા તકનીકી બદલાવ, અસાધારણ ગતિથી ચર્ચામાંથી બહાર આવીને, આપણા દૈનિક જીવનના અંગ બની બની ગયા છે. આ સમયમાં આજના યુવાનોના આત્મવિશ્વાસના બળ પર જ ભાવિ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, તેમ પણ ઉમેર્યું હતુ.

આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કમગીરી કરનાર સરકારી વિભાગ-કચેરીના અધિકારી– કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયુ હતું. સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ વિભાગ દ્વારા હોર્સ-શો તથા ડોગ-શો રજુ કરવામાં આવ્યા હતા. આ તકે શ્રેષ્ઠ ટેબ્લો ઉપરાંત તમામ શાળાની સાંસ્કૃતિક કૃતિને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. 

આ પ્રસંગે સ્વામિત્વ યોજના હેઠળના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોપર્ટી-કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર તરફથી રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે વિકાસ કામો અર્થે રૂ. ૨૫ લાખની રકમનો ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના ભાગરૂપે શ્રેષ્ઠ પરેડ પ્રદર્શન કરવા બદલ પરેડ કમાન્ડન્ટ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ.વિશ્વા શાહ અને અન્ય સબંધીત પ્લાટૂનના અધિકારીઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ કલેક્ટરના હસ્તે ઘન કચરાના નિકાલ માટેની ત્રણ નવીન ઈ-રીક્ષાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.  

૨૬ મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે જિલ્લા કલેકટરએ વિવિધ ધર્મના નાગરિકો દ્વારા યોજાયેલી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. 

રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમ નિમિત્તે ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નાગરિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યુ હતું. 

૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં સાંસદ મિતેષભાઈ પટેલ, પેટલાદ પ્રાંત અધિકારી પી.આર.જાની, ધારાસભ્ય સર્વ કમલેશભાઇ પટેલ, વિપુલભાઈ પટેલ સહિત જિલ્લાના અગ્રણીઓ, મામલતદાર, અધિકારી –પદાધિકારીઓ, આમંત્રિતઓ, તાલુકાની વિવિધ શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં પેટલાદના નગરજનો ઉપસ્થિત રહયાં હતા.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment