મકરસંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને સફેદ તલનો વિશેષ સાયમ શૃંગાર કરાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ
મકરસંક્રાંતિ ના પાવન પર્વ પર શાસ્ત્રોક્ત રીતે સફેદ તલ થી શિવજી ના પૂજન તેમજ સ્નાનનું મહાત્મ્ય રહ્યું છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને સફેદ તલ, ઘી, ગુલાબ, તેમજ ગલગોટા ના ફૂલ દ્વારા વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. મહાદેવના જ્યોતિર્લિંગ સ્વરૂપને ઘી અને તલનો લેપ લગાવવામાં આવ્યો હતો. ત્યારે સોમનાથ મહાદેવના તલ આચ્છાદિત સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.
સોમનાથમાં ગૌ પૂજન માં ઓનલાઇન ભક્તો જોડાયા. આજે સવારથી જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા માંથી લવાયેલ ગૌ માતા ને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવાયો હતો. આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી ભક્તો પૂજામાં જોડાયા હતા. મહાદેવને શુધ્ધોદક જલ, દૂધ, દહીં, સાકર, સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો.
તલ નું મહત્વ:
          શ્રી વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણમાં તલને ઔષધ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ ઉપરાંત તલ સાથે જોડાયેલ પશુપત, સૌભાગ્ય અને આનંદ વ્રતનું વર્ણન મત્સ્ય, પદ્મ, બ્રહ્નનારદીય અને લિંગ પુરાણમાં કરવામાં આવ્યું છે. આ સાથે શિવપુરાણમાં તલનું દાન કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. બૃહન્નાર્દીય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પિતૃકર્મમાં જેટલા તલનો ઉપયોગ કરવામાં આવે છે તેટલા હજાર વર્ષ સુધી પિતૃઓ સ્વર્ગમાં રહે છે. ગરુડ પુરાણ અને બૃહન્નાર્દીય પુરાણ કહે છે કે પૂર્વજોને તલ અને ગંગાજળ ચઢાવવામાં આવે તો તેમને મોક્ષ મળે છે. સનાતન ધર્મગ્રંથો તલના પૂજન ને સમસ્યાઓનો નાશ કરનાર અને આયુર્વેદમાં તલને રોગ નાશક તરીકે ઓળખવામાં આવ્યા છે. ધર્મગ્રંથોમાં તલ ને વાત, પિત્ત અને કફના વિકારોને દૂર કરનાર કેહવામાં આવ્યા છે.  ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

Related posts

Leave a Comment