સરકારની વિવિધ વિભાગની કચેરીના કંપાઉન્‍ડ કે કંપાઉન્‍ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્‍તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

 ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધારણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે. ખેડા જિલ્‍લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજુઆત તરફ ધ્‍યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઇરાદાથી જિલ્‍લા સેવા સદનના પ્રાંગણમાં આમરણાંત ઉપવાસ અને ભૂખ હડતાલનું ઓચિંતું અને મનસ્‍વી આયોજન કરી આ કચેરીમાં તેમજ જાહેર માર્ગ ઉપર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્‍ય જનતા માટે દુવિધા સર્જાય છે. આથી ઉપરોક્ત બાબતોને ધ્‍યાને લઇ જિલ્‍લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે હેતુસર સાવચેતીના ભાગરૂપે આગોતરા પગલા ભરી, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭(૩)થી મળેલ સત્તાની રૂએ તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા.૦૭ જુન, ૨૦૨૧ થી તા.૦૬ ઓગષ્ટ ૨૦૨૧ (બન્ને દિવસો સુધાંત) સુધી કલેક્ટર અને જિલ્‍લા મેજીસ્‍ટ્રેટની કચેરી, નડિયાદ તથા ખેડા જિલ્‍લા પંચાયત તથા સરદાર ભવન ખાતે આવેલ સરકારની વિવિધ વિભાગની કચેરી, પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદની કચેરી અને તાલુકા ખાતે આવેલ તાલુકા મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી તથા પોલીસ સ્‍ટેશનના કંપાઉન્‍ડ તેમજ કંપાઉન્‍ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજ્યાના હદ વિસ્‍તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભૂખ હડતાલ પર બેસવા કે ચાર કરતા વધુ માણસોએ એકત્રિત થવા કે સભા/સરઘસ જેવા કૃત્‍યો કરવા સામે પ્રતિબંધ ફરમાવેલ છે. 

અપવાદ રૂપે આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોત્તર તેમજ લગ્‍ન અંગેના સરઘસને લાગુ પડશે નહીં. આ હુમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૧૩૫(૩) અને ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે તેમ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, ખેડા-નડિયાદના એક હુકમ દ્ધારા જણાવાયું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment