ખેડા જિલ્‍લાના શ્રમયોગી/ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે ફરજના સમયમાંથી ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન  રજા આપવાની રહેશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

       તા.૨૮/૦૨/૨૦૨૧ના  રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે. આ દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા-૧૯૪૮ હેઠળના (ઔદ્યોગિક એકમો) કારખાનામાં કામ કરતા શ્રમયોગી તેમજ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન  વર્કસ ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર શ્રમયોગી મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧  ની કલમ ૧૩૫ (બી ) મુજબ કારખાના ધારા-૧૯૪૮  હેઠળ કારખાના શ્રમયોગીઓ તેમજ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/ સાઇટના કામ કરતા શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

          આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. રજાના કારણે જ શ્રમયોગી/ કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ  રજા જાહેર ન થઈ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચૂકવવાનો રહેશે.

        જે મતદારોની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય  તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી/ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાન ના સમયગાળા દરમિયાન ત્રણથી ચાર કલાક મતદાન માટે સવેતન  રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઇથી વિરુદ્ધ વર્તન કરશે તો આ કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ નાયબ નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય કચેરી, નડિયાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment