હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થાના મજબુતિકરણ માટે યાંત્રિક મંજૂરી પ્રાપ્ત રૂ.૮૭.૬૧ લાખના ૨૫ કમોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
કલેકટરએ જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થાઓની સમીક્ષા કરતા કરી હતી. ખાસ જ્યારે પણ કોઈ વિસ્તારમાં પાણીજન્ય રોગો જોવા મળે ત્યારે પીવાના પાણીનું વધુ પ્રમાણમાં ટેસ્ટીંગ માટે નિર્દેશ આપ્યા હતા. આ સાથે પીવાના પાણીના ક્લોરીનેશન પર પણ વિશેષ ભાર આપ્યો હતો. ઉપરાંત શહેરી અને ગ્રામ્ય વિસ્તારથી નજીકના અંતરે વસવાટ કરતા લોકોને પીવાની પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની શક્યતાઓ માટે સર્વે હાથ ધરવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં ૧૫માં નાણાપંચ અને રિજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત યાંત્રિક મંજૂરી પ્રાપ્ત ૫૧૮ આંગણવાડી કેન્દ્રોમાં પાણીની મોટર તથા એસેસરીઝ, ૯૦ આંગણવાડી કેન્દ્રમાં પાણીની ટાંકી ઉપરાંત આર.ઓ. ફિલ્ટર, ભૂગર્ભ સંપ, પંપીંગ મશીનરી સહિતના પાણી પુરવઠાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
જિલ્લા કલેકટરએ પીવાના પાણી પુરવઠાને લગત હેલ્પલાઇન પર મળતી ફરિયાદોની પણ સમીક્ષા કરી હતી. જો કે, જાન્યુઆરીથી મે ૨૦૨૬ દરમિયાન મળેલી તમામ ૧૨ ફરિયાદોનું સકારાત્મક નિવારણ કરવામાં આવ્યું છે.
ઉપરાંત સરકારની સૂચના મુજબ પીવાના પાણીના વ્યવસ્થાપન, જન જાગૃતિ વગેરે કામોમાં ગ્રામ્ય સ્તરે મદદરૂપ થાય તે માટે સ્વ સહાય જૂથો અને સ્થાનિક સહકારી મંડળીઓને પણ જોડવામાં આવી રહી છે.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતા સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનની જુદી જુદી યોજનાઓ સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા, વાસ્મોના યુનિટ મેનેજર હિમાંશુ સોનેજી, પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આર. એ. ચાવડા, પાણી પુરવઠાના યાંત્રિક વિભાગના કાર્યપાલક ઇજનેર વિવેક પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલવી, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
