આજે પણ સ્વાદરસિકોના હૃદય પર રાજ કરે છે – તે એટલે આપણી ગીરની ‘કેસર’

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

     દેશની આઝાદી આડે હજુ સવાએક દાયકાની વાર હતી. તે અરસામાં જૂનાગઢ નવાબના દરબારમાં ફળની એક પ્રજાતિ રજૂ થવાની હતી. શાહી ઠાઠમાઠ સાથે નવાબ અને દરબારીઓ સમક્ષ રજૂ કરાઈ અને સર્વે તેનો આસ્વાદ માણે છે. તેનો સ્વાદ અને સોડમ અદ્વિતીય લાગી. જે આજે પણ સ્વાદરસિકોના હૃદય પર રાજ કરે છે – તે એટલે આપણી ગીરની ‘કેસર’.

જૂનાગઢના નવાબ મહોબત ખાનજી ત્રીજાએ કશ્મીરના કેસર જેવા રંગને જોઈ આ કેરીને કેસર નામ આપ્યું. પરંતુ આ પહેલા પણ કેસરની શાહી સફરની શરૂઆત થઈ ચૂકી હતી.

આ સંદર્ભમાં વધુ વિગતે વાત કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના ડીન શ્રી ડી.કે. વરૂ કહે છે કે, કેસરની ઐતિહાસિક સફરની શરૂઆત ૧૯૩૦ના અરસામાં શરૂઆત થઈ હતી. એ સમયે જૂનાગઢના વજીરના પદે સાલેભાઈ કાર્યરત હતા. તેઓ મે મહિનામાં વંથલીની ઓઝત નદીના કાંઠે આવેલી ચામસી અને રવાયું સીમમાં પોતાની વાડીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમના બાજુના જ ખેતરમાં આંબાનો વેડો એટલે કે કેરીને ઝાડ પરથી ઉતારવાની કામગીરી ચાલતી હતી. તેમની પારખું નજર બગીચામાં ચાર આંબા એવા હતા તેની કેરીઓ અન્ય ઝાડ કરતા સાવ જુદી અને આકર્ષક હતી. જેથી તેમણે એ ચાર ઝાડની કેરીઓ અલગ રખાવી અને પોતાના ઘરે મંગાવી લીધી. 

સાલેભાઈ આ કેરીઓને કુદરતી રીતે પકવે છે અને પોતાના પરમ મિત્ર અને માંગરોળ સ્ટેટના નવાબ શેખ જહાંગીર મિયાને ભેટમાં આપે છે. પછીની ઘટના માંગરોળ સ્ટેટના દરબારમાં ઘટે છે. અહીં શેખ જહાંગીર મિયાંએ સર્વે દરબારીઓને આ કેરીઓનો ટેસ્ટ કરાવે છે. જે સૌને ખૂબ પસંદ આવ્યો એટલું જ નહીં પણ અદ્વિતીય લાગ્યો. એટલે માંગરોળ સ્ટેટના નવાબ અને દરબારીઓએ આ કેરીને નામ આપવાનું નક્કી કર્યું. આમ, અહીં કેસરનું પ્રથમ નામકરણ ‘સાલેભાઈની આંબડી’ થાય છે. ઉપરાંત સાલેભાઈને ખિતાબથી પણ નવાજે છે.

ડો. વરૂ જણાવે છે કે, આ ઘટનાની જાણ જૂનાગઢના નવાબને થાય છે, તેઓ પણ ખૂબ બાગાયતનો શોખ ધરાવતા હતા. એટલે રાજ્યના બાગાયતના નિષ્ણાંત કહી શકાય તેવા ડો. આયંગરને બોલાવ્યા અને કેરીની આ જાત વિશે વિશેષ તપાસ સોંપે છે. ડો. આયંગર સાલેભાઈ પાસેથી આ કેરી વિશેની વિગતો મેળવે છે અને બંને વંથલીની ચામસી અને રવાયું સીમની મુલાકાત લે છે. જેને કેસરનું જન્મ સ્થળ પણ કહી શકાય.

આ સમયે કેરીનું હાર્વેસ્ટિંગ થઈ ગયું હતું એટલે કેરી તો બાગમાં હતી નહીં પરંતુ ડો. આયંગરે જે ચાર આંબાના વિશિષ્ટ ઝાડ હતા. તેમાંથી એ સમયની પ્રચલિત પદ્ધતિ મુજબ ‘ભેટ કલમ’ (જેને લોકો ડબ્બા પદ્ધતિ તરીકે પણ ઓળખે છે) તૈયાર કરી. ડો. આયંગરે આ ચાર ઝાડમાંથી ૯૦ જેટલી કલમો બનાવડાવી અને તેમાંથી ૭૫ જેટલીનો સફળ રીતે ઉછેર પણ થયો. 

આ કલમોને નવાબની સૂચના મુજબ ડો. આયંગરે આજના સક્કરબાગ, ભવનાથમાં લાલઢોરીના ફાર્મ ઉપરાંત સરદાર બાગ, મધડીબાગ વગેરે જગ્યાએ વાવેતર કરવામાં આવ્યું. આ વાવેતર ૧૯૩૦ની આસપાસના સમયમાં કરવામાં આવ્યું હતું. અને પછી યોગ્ય માવજતથી ત્રણ-ચાર વર્ષમાં ફળ આવવાનું શરૂઆત પણ થઈ ગઈ.

ડો. આયંગર આંબાવાડીઓમાંથી કેરી ઉતરવા માંડતા ખુશ હતા. હવે ફરી જે માંગરોળના દરબારમાં ઘટના ઘટી હતી તે ફરી જૂનાગઢમાં પુનરાવર્તિત થવા જઈ રહી હતી. ડો. આયંગરે ભારે ઉત્સાહ સાથે નવાબના દરબારમાં કેરીઓ રજૂ કરી નવાબના નિર્દેશ મુજબ સૌ દરબારીઓને તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો. તેના અંતે તેમના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા. આમ, આ કેરીના જે ગુણધર્મો સામે આવ્યા તેના આધારે કેસર નામકરણ થયું. તે દિવસ હતો ૨૫- મે ૧૯૩૪. એટલે ૨૫- મેના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેસરના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. ડો. વરૂ કહે છે કે, કદાચ વિશ્વની પહેલી ઘટના હશે કે કોઈ ફળનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય. જે આપણા માટે ગૌરવપ્રદ છે.

ડો. વરૂ ઉમેરે છે કે, નવાબના દરબારમાં અસલમાં બે જાતની કેરી રજૂ કરવામાં આવી હતી. પણ બીજી જાત હતી તે કેસરની સરખામણીએ થોડી નબળી હતી. એટલે દરબારીઓએ અભિપ્રાયના આધારે તે સ્વીકૃતિ પામી ન હતી હતી.

ડો. વરૂ રૂપ, રંગ અને સ્વાદમાં કેસર અજોડ હોવાનું ઉલ્લેખ કરતા રહે છે કે, કેસરનો આકાર એક સુંદર સ્ત્રી એટલે કે રાણી કે પરી જેવો છે. જે બીજી કેરીઓમાં જોવા મળતો નથી. પાકે ત્યારે એ આછા લીલા કલરની હોય છે અને તેની છાલ સંપૂર્ણપણે પીળી થતી નથી. આછો લીલો કલર અને ઉપર ભભૂતિ એટલે ખૂબ મનોહર લાગે છે. કશ્મીરમાં જે કેસર થાય છે તેના જેવો જ તેના પલ્પનો કલર હોય છે, ગોટલી એકદમ નાની અને બીજું તેના પલ્પ કે છાલમાં બિલકુલ રેસા હોતા નથી. જ્યારે અન્ય કેરીઓની જાતમાં રેસાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઉપરાંત પલ્પ પણ એટલો રસાળ અને સ્મુધ હોય છે કે તેને સુધારીને ચમચી વડે પણ આરોગી શકો. જ્યારે કેસર ખાધા પછી આપણા આંગળીઓની અંદર જે કેરીનો ભાગ ચોંટી ગયો હોય તેની સુગંધ પણ કલાકો સુધી લઈ શકાય છે. આમ સ્વાદ, સુગંધ, પોષક તત્વો, દેખાવ વગેરે ગુણધર્મોને ધ્યાને લઈ ‘કેસર’ નામ આપવામાં આવ્યું હતું. 

નવાબ માત્ર ‘કેસર’ નામકરણ કરીને અટક્યા નહીં પરંતુ તેમણે ડો. આયંગરને ‘કેસર ‘ જેવી કેરીની અન્ય કોઈ જાત વિશ્વમાં છે કે નહીં ? તેનો દેશ પરદેશમાં અભ્યાસ કરવા માટે મોકલ્યા. પરિણામે ડો. આયંગર જે વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે તેવા ટ્રોપિકલ- સબ ટ્રોપિકલ વિસ્તારમાં ટાંચા સાધનો વચ્ચે ત્રણ -ચાર વર્ષ સુધી પ્રવાસ કરે છે અને તેના અંતે એક રિપોર્ટ સબમિટ કરે છે. તેમાં તેમણે નોંધ્યું છે કે, મારી જે નિષ્ણાંતતા છે તે મુજબ સમગ્ર વિશ્વમાં ૧૮૯૭ જેટલી કેરીની જાત છે તેમાં ‘કેસર’ જેવી એક પણ નથી. આમ, કેસરની શ્રેષ્ઠતા ઉપર મહોર લાગે છે. 

કોઈપણ સંશોધન થયા પછી તેના વિસ્તરણનો તબક્કો આવે છે એટલે કે, તેને ખેડૂતો સુધી પહોંચાડવું. એટલે નવાબ મહાશિવરાત્રીના મેળામાં આવતા ખેડૂતો- ભાવિકોને કેસરની કલમો આપવા માટે એક ખાસ સ્ટોલ ઉભો કરાવે છે. જેમાં ડો. આયંગર તેમના સ્ટાફ મારફત ખેડૂતોને ૨૫ કે ૫૦ પૈસામાં કેસરની કલમો પૂરી પાડે છે. ઉપરાંત નવાબે સૌરાષ્ટ્રના જે રજવાડાઓ હતા તેઓને પણ કેસરની કલમો ભેટ સ્વરૂપે મોકલી આપી. જેમાં ભાવનગર, પોરબંદર, જામનગર, ગોંડલ વગેરે રાજ્યોને કેસરની કલમો મોકલવામાં આવી હતી. પોરબંદરના આદિત્યાણાની નજીકમાં આવેલા એક ગામમાં નટવરબાગમાં આજે પણ ઓરીજનલ કેસર હયાત છે. 

તેઓ ઉમેરે છે કે, આજે પણ કેસરના ઘણા ઓરીજનલ ઝાડ હયાત છે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલાક ફોર્મ ઉપરાંત કાળવા ચોકમાં જે ચર્ચ આવેલું છે ત્યાં પણ જોવા મળે છે. 

તેમણે જણાવ્યું કે, કેસર કેરીને જીઆઈ ટેગ એટલે કે જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન અપાવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન સાથે મળીને એક ભારત સરકારમાં પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેના આધારે આપણી કેસર કેરીને ઓળખ મળવાથી તેને કાયદાકીય સંરક્ષણ પણ પ્રાપ્ત થયું છે. જેથી માત્ર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૭ તાલુકાના ખેડૂતો જ ગીરની કેસર નામે વેચાણ કરી શકે છે. કેસરને વર્ષ ૨૦૧૧માં જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો.

તેમણે જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પરિણામે કેસર કેરી સામે થોડા પડકારો ઊભા થયા છે, તે દિશામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જરૂરી સંશોધનો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને સમયસર ફ્લાવરિંગ અને ફ્રુટ સેટીંગનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. તેના ઉકેલના દિશામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. સંશોધન મુજબ કેસરના બગીચામાં વચ્ચે ‘વનરાજ’ જાતના આંબાનું વાવેતર કરવામાં આવે તો ફ્રુટ સેટિંગ ખૂબ સરસ રીતે થાય છે. એટલે કે, ફ્લાવરિંગ બાદ ફળનું બંધારણ અને તેનો વિકાસ યોગ્ય રીતે થાય. ટૂંક સમયમાં આ સંશોધન વિગતવાર પ્રસિદ્ધ કરવામાં આવશે.

અંતમાં તેમણે જણાવ્યું કે, કેસરનું ગીર સિવાયના પ્રદેશમાં પણ વાવેતર વધી રહ્યું છે. ખાસ કરીને કચ્છમાં તેનું ઘણું વાવેતર થયું છે, રાણાવાવથી ભાણવડ વચ્ચેના ડુંગરાળ વિસ્તારો ઉપરાંત ડુંગરાળ વિસ્તારોમાં મોરમવાળી જમીનમાં પણ કેસરના નવા પોકેટ્સ વિસ્તરી રહ્યા છે. આંબાને નિતારવાળી જમીન અને સૂકું વાતાવરણ વધારે માફક આવે છે.

Related posts

Leave a Comment