હિન્દ ન્યુઝ, જામનગર
આગામી તા.૪-૫-૨૦૨૫ ના રોજ જામનગર જિલ્લામાં યોજાનાર NEET(UG) ૨૦૨૫ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે અમલી બને તે હેતુથી જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે જ્યારે આપણું બાળક પરીક્ષા આપતું હોય ત્યારે આપણે જેટલી કાળજી લઈએ છીએ તેટલી જ કાળજી અને વ્યવસ્થાઓ આ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પણ કરીએ. સાથે જ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આગોતરા આયોજન સાથે કામગીરી હાથ ધરીએ. સાથે જ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ સેન્ટર પર પરીક્ષા લક્ષી કીટ પહોંચી જાય, જરૂરી વીજ પુરવઠો જળવાઈ રહે, વ્હીલચેરની વ્યવસ્થા, ફર્સ્ટ એડ કીટ-ઓ.આર.એસ. ઉપલબ્ધ કરાવવા, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, ઝામર અને સીસીટીવી લગાવવા તથા તેનુ બેકઅપ જાળવવું વગેરે અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ અધિકારીશ્રીઓને પરીક્ષા અગાઉ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ આનુસંગિક તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવા પણ જણાવ્યું હતું.
અલિયાબાડા તથા વાલસુરા પહોંચવા માટે એસ.ટી. વિભાગ જામનગર દ્વારા વિશેષ બસ સેવા
ઉનાળા દરમિયાન NEET ની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી. વિભાગ જામનગર દ્વારા પરીક્ષા કેન્દ્ર અલિયાબાડા તથા વાલસુરા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરાઈ છે. આ માટે એસ.ટી. ડેપો જામનગર ખાતેથી સવારે ૧૦:૦૦ કલાકે બસ ઉપડશે તેમજ પરિક્ષા પૂર્ણ થયે પરિક્ષાર્થીઓને જામનગર પરત લાવશે.
NEET ની પરીક્ષા કેન્દ્રીય વિદ્યાલય-૦૧ એરફોર્સ સ્ટેશન, કેન્દ્રીય વિદ્યાલય-૦૩ એરફોર્સ સ્ટેશન, કેન્દ્રીય વિદ્યાલય-૦૨ ઈન્ફન્ટ્રીલાઈન્સ, કેન્દ્રીય વિદ્યાલય વાલસુરા તેમજ જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા ખાતે બપોરે બે થી પાંચ કલાક દરમિયાન યોજાશે. આ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતેના મુખ્ય દ્વારથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે પણ તંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.
