હિન્દ ન્યુઝ, આણંદ
જનરલ હોસ્પિટલ આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યાના જણાવ્યા મુજબ જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ઓપરેશન થિયેટર રીનોવેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે ઓપરેશન થિયેટર સંપૂર્ણ રીતે કાર્યરત બન્યું છે.
આણંદની આ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સગર્ભા મહિલાઓને સિઝેરિયનનું ઓપરેશન કરવાનું થાય તેવા કિસ્સામાં તેમને રિફર કરવામાં આવે છે, પરંતુ જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે ઓપરેશન થિયેટર રીનોવેશનની કામગીરી કરવાની હોવાથી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે આણંદ જનરલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરના રીનોવેશનના ચાર દિવસ દરમિયાન સિઝેરિયન ઓપરેશન કરવાનું હોય તેવા કોઈ પણ સગર્ભા મહિલાઓને જનરલ હોસ્પિટલ – આણંદ ખાતે મોકલવામાં આવ્યા નથી.
ઓપરેશન થિયેટર રીનોવેશનની કામગીરી દરમિયાન એટલે કે માત્ર ચાર દિવસ દરમિયાન સગર્ભા બહેનોને સિઝેરિયન ઓપરેશન કરવાના કિસ્સામાં આ બહેનોને પેટલાદ સિવિલ હોસ્પિટલ અને સારસા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા વાસદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લાના સબંધિત આરોગ્ય કેન્દ્ર દ્વારા મોકલવામાં આવતા હતા.
આણંદ જનરલ હોસ્પિટલ ખાતે હવે ઓપરેશન થિયેટર રીનોવેશનની કામગીરી પૂર્ણ થઈ હોવાથી જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે સગર્ભા બહેનોને સિઝેરિયન ઓપરેશનની સેવા પણ મળશે. આ સિવાય ઓપીડી અને ઇન્ડોર સેવાઓ પણ ચાલુ જ છે.
નોંધનિય છે કે, આણંદની આ જનરલ હોસ્પિટલ ખાતે ઓપરેશન થિયેટરના રીનોવેશનની કામગીરી દરમિયાન પણ સગર્ભા બહેનોને નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી છે. એટલું જ નહી પરંતુ, આ જનરલ હોસ્પિટલ ખાતે સગર્ભા બહેનોને નોર્મલ અને સિઝેરિયનની ડિલિવરી કરાવવા ઉપરાંત દર્દીનારાયણની સેવા માટે ૨૪×૭ મેડિકલ ઓફિસર સહિતની ટીમ સતત હાજર રહે છે.
Advt.