કેબિનેટમંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં જામવંથલી ખાતે જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર 

    રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયા જામનગર જિલ્લાના જામવંથલી ખાતે યોજાયેલ પંચકોશી સમસ્ત ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે પ્રભુતામાં પગલાં માંડનાર ૧૦૦ નવદંપતીઓને સાત ફેરા સમૂહલગ્નોત્સવ યોજના હેઠળ પ્રત્યેક યુગલને રૂ.૧૨૦૦૦, ૧૦૦ કન્યાઓને કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પ્રત્યેકને રૂ.૧૨૦૦૦ ની તેમજ સમૂહ લગ્નોત્સવ સમિતિને રૂ.૭૫૦૦૦ હજારની સહાય મળી કુલ રૂ.૨૪લાખ ૭૫હજારની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મંત્રી એ પ્રભુતામાં પગલા માંડનાર ૧૦૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પ્રત્યેક સમાજને આગળ લાવવા માટે સરકાર તત્પર છે.સમાજના લોકો શિક્ષિત હશે તો જ પરિવારો સુખી થશે. દીકરીઓજો શિક્ષિત હશે તો બે પરિવારોને તારશે. કુંવરબાઈનું મામેરૂ યોજના અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ યુગલોને મળેલી સહાય તેમના ખાતામાં ડીબીટીના માધ્યમથી ચૂકવવાં આવી છે. તેનાથી તેઓને આર્થિક મદદ મળી છે. કાર્યક્રમમાં મંત્રીએ દેખાદેખી કરવાના બહાને લગ્નમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હોય તે ન કરવાની શીખ આપી હતી. તેમજ સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રાસ મંડળી દ્વારા કૃતિઓ રજૂ કરવામા આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ગિરીશભાઈ, હસમુખભાઈ હિંડોચા, નાયબ નિયામક (વિકસતી જાતી) પરમારભાઈ, અધિકારીઓ, સંતો – મહંતો, ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment