ગીર સોમનાથ જિલ્લામાં ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત વ્યવસ્થાપનના પગલા લેવા જરૂરી માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    ગીર સોમનાથ જિલ્લામાં ચણાના પાકમાં લીલી ઈયળનું એ ખાઉધરી ઇયળ પાકમાં પોપટા બેસે ત્યારે વધુ નુકશાન કરે છે. ઈયળના પાછળના ભાગે આંગળી મુકી ધીરેથી દબાવવાથી ઈયળ તરત જ કરડવા માટે આગળી તરફ ઝાટકા સાથે વળે તો સમજવું કે લીલી ઈયળ છે જેના નિયંત્રણ માટે જિલ્લાના ખેડુતોને કેટલાક પગલાઓ જણાવવામાં આવ્યા છે.

જેમા આ ઈયળનો ઉપદ્રવ ચણા પાકમાં ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં વધુ જોવા મળે છે જેના સંકલિત નિયંત્રણ માટેના પગલાઓમાં ચણાના પાકમાં ધાણા, રાઈ જેવા આંતર પાક તરીકે વાવેતર કરવું તેમજ ચણાના પાકમાં ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવાથી લીલી ઇયળની માદા ફૂંદી ગલગોટા તરફ આકર્ષાઇને ત્યાં ઈંડા મૂકે છે તેમજ જેથી ઈંડા મુકાયેલા ફુલ ચુંટી લેવા અથવા તેના પર દવાના છંટકાવ કરવો અને પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી. ખેતરમાં જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૧ થી ૨ ટીંપા નાખવા.જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા તેનો નાશ થશે.

તદુપરાંત પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભાં પાકમાં અગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-પ૦ ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા તેમજ લીંબોળીનાં મીંજનું પ ટકા દ્વાવણ (પ૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) નાં ર થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. લીમડા આધારિત તૈયાર કીટાનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી) અથવા નફ્ફટીયાના પાનનો ૫૦૦ ગ્રામનો અથવા અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક અથવા બેસીલસ થુરીન્જીન્સીસ ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ અથવા એનપીવી ૨૫૦ એલઇ ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને લીલી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં પ૦ ટકા ફુલ બેસવાની અવસ્થાએ અને ત્યાર બાદ ૧પ દિવસે કિવનાલફોસ ર૦ મિ.લિ. અથવા ફલુબેન્ડીયામાઈડ ર મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧.પ મિ.લિ. અથવા ઈમામેકટીન બેન્જોએટ ર ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી. પાણીની અછતવાળા વિસ્તારમાં ચણાના પાકમાં કિવનાલફોસ ૧.પ ટકા ભુકી દવા હેકટરે રપ કિ.ગ્રા. પ્રમાણે છાંટવાથી સારૂ પરિણામ મળે છે.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જણાવ્યું છે.

                                  

Related posts

Leave a Comment