રાજકોટ ખાતે તા.૧૭/૧૧/૨૦૨૩, શુક્રવારના રોજ મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્લુ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ 

        રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે દિવાળીના તહેવારોમાં અંદાજિત ૬૦,૦૦૦ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને મુલાકાતીઓ તે દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.૧૭/૧૧/૨૦૨૩, શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્‍લુ રહેશે તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક શ્રી મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૬૦ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણી-૫ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ઝૂ ખાતે ૧૧ માસ પહેલા જન્મ થયેલ ૦૨ સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવાનું શરૂ કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવીત થાય છે. દિવાળીના તહેવારો દરમિયાન આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

 

 

Related posts

Leave a Comment