બોટાદ જિલ્લામાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે ૧,૪૯,૬૪૨ પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણથી રક્ષીત કરાયાં

બોટાદ

બોટાદ જિલ્લામાં ૧૨૧ ગામોમાં ૧૬૦૫ જેટલા પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે ત્યારે જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ.આર.જી.માળીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુપાલન વિભાગ અને મધુસુદન ડેરી દ્વારા પશુઓમા જોવા મળી રહેલ લમ્પી રોગને અટકાવવા માટે બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી જિલ્લામાં અસરગ્રસ્ત ગામના નિરોગી પશુઓમાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ તાલુકામાં-૪૬૭, ગઢડા તાલુકામાં-૮૦૯, રાણપુર તાલુકામાં-૩૦૭ અને બરવાળા તાલુકામાં-૨૨ સહિત જિલ્લામાં કુલ-૧૬૦૫ જેટલાં પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે બોટાદ તાલુકામાં-૫૬,૪૯૧, ગઢડા તાલુકામાં-૪૮,૭૫૯, રાણપુર તાલુકામાં-૨૯,૬૧૭ અને બરવાળા તાલુકામાં-૧૪,૭૭૫ સહિત જિલ્લામાં કુલ-૧,૪૯,૬૪૨ પશુઓને લમ્પી વાઇરસ વિરોધી રસીકરણથી રક્ષીત કરવામાં આવ્યાં છે.

બોટાદ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ.આર.જી.માળીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના લમ્પીગ્રસ્ત તમામ ગામોમાં નિરોગી પશુઓને રસી આપીને રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં ૧૬૦૫ જેટલા પશુઓ લમ્પી વાઇરસથી સંક્રમિત થયા છે. ત્યારે સમયસર રસીકરણના લીધે ૮૪૦ પશુઓમાં રિકવરી પણ જોવા મળી રહી છે અને નવા કેસ પણ આવતા ઓછા થયાં છે. લમ્પી અસરગ્રસ્ત ગામોમાં સઘન સારવાર પુરી પાડવામાં આવી રહી છે.

વધુમાં શ્રીમાળીએ જણાવ્યું હતું કે, જો કોઇ પશુ લમ્પી વેક્સીનથી બાકી રહી ગયા હોય તો તેવા પશુઓની જાણ થતાં જ તેવા પશુઓને વેક્સીનની રસી પુરી પાડવામાં આવે છે. પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો તાત્કાલિક ૧૯૬૨ હેલ્પલાઈન અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક સાધવા જાહેર અનુરોધ કર્યો છે.

Related posts

Leave a Comment