ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતાં પ્રમાણમાં છે, લોકોએ બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી- કલેકટર યોગેશ નિરગુડે

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નથી તેવાં આજ સવારથી ભાવનગર શહેરમાં ફેલાયેલા સમાચારો અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી કતારો લાગવા બાબતે સ્પષ્ટતા કરતાં કલેકટરએ જણાવ્યું છે કે, ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે. લોકોએ બિનજરૂરી રીતે ગભરાવવાની જરૂર નથી.

આ બાબતે કલેકટરએ જિલ્લાના પેટ્રોલ પંપ માલિકો, ડિલરો તથા તેઓના એસોસિએશન સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી છે અને આવતીકાલે તેઓની સાથે બેઠક પણ યોજવાના છે.

પેટ્રોલ પંપ માલિકોએ પણ પેટ્રોલ પંપ પર પૂરતો પેટ્રોલ અને ડિઝલનો પૂરતો પુરવઠો છે તે બાબતે કલેકટરને ટેલિફોનિક વાતચીતમાં ખાતરી આપી છે.

આ ઉપરાંત જો કોઈ જગ્યાએ પેટ્રોલ-ડિઝલનો પુરવઠો કદાચ ખૂટ્યો હશે તો આવતીકાલ સુધીમાં તેને પહોંચતો કરીને યથાવત સ્થિતિમાં લાવી દેવા માટે પુરવઠા તંત્રને કલેકટરએ સૂચના આપી છે.

ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલનો પુરવઠો ખૂટી ગયાના વહેતાં થયેલા સમાચારને કારણે લોકો દ્વારા પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરીને પેટ્રોલ, ડિઝલ લેવાં માટે લાઇનો લગાવી રહ્યાં છે તે બાબતે કલેકટરએ જણાવ્યું છે કે, લોકોએ આવી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી તેમજ ગભરાવવાની જરૂર નથી. લોકો આ બાબતે આશ્વસ્થ રહે.

જિલ્લા વહીવટીતંત્ર આ બાબતે સજાગ છે અને આવી કોઈપણ બાબતથી ગેરમાર્ગે ન દોરાવા માટે પણ કલેકટરએ જાહેર જનતાને અપીલ કરી છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment