હિન્દ ન્યુઝ, ભાવનગર
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે તેમના કાર્યાલય ખાતે જિલ્લા તથા શહેરમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. કાળુભા રોડ પર આવેલાં તેમના લોકપ્રતિનિધિ તરીકેના કાર્યાલય ખાતે તેમણે લોકરજૂઆતો સાંભળી તેના ઉકેલ અને નિરાકરણની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષોથી તેમના કાર્યાલય ખાતે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવે છે અને તેનો બને તેટલી ત્વરાએ ઉકેલ આવે તે દિશાના પગલાં લેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મંત્રીની જવાબદારી મળ્યાં બાદ ભાવનગરના નાગરિકો માટે એટલો સમય ફાળવી શકાતો નથી છતાં બનતી રીતે લોકોને કઇ રીતે મદદરૂપ થાય તે જ તેમનો ઉદ્દેશ છે. લોકોને પીડતી સમસ્યાઓ વિશેની વિગતો મેળવી તેનો ઉકેલ આવે તેવાં નિર્ધાર સાથે તેમજ નીતિ- નિયમોમાં પડતી અડચણો પૂરી થાય તેવી દિશાના પગલાં મારા કાર્યાલય દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રશ્નો સાંભળવાં સાથે મને શુભેચ્છકો અને શહેરીજનોને મળવાની પણ તક આ રીતે મળી છે તે આનંદની વાત છે. શિક્ષણ મંત્રીના કાર્યાલયે મોટી સંખ્યામાં રજૂઆત કરવાં આવેલાં લોકોની સમસ્યા જાણવાં માટે ભાવનગરના ડેપ્યુટી મેયર કૃણાલકુમાર શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
