શાળારૂપી બાગના ફૂલો સમાન બાળકોમાં રંગ ભરવાની જવાબદારી શિક્ષકોની છે – રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ

દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત

હિન્દન્યુઝ, દાહોદ

                           દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકકર્મી માટે પસંદગી પામેલા ૬૨ શિક્ષણ સહાયકોને નિમણૂંકપત્રો એનાયત કરતા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, શિક્ષક એ ભારતીય પરંપરાનું ગુરુપદ છે અને આ પદને નિષ્ઠાપૂર્વક નિભાવવું પડશે.
ઉક્ત સંદર્ભમાં ખાબડે ઉમેર્યું કે, ભારતમાં પહેલા ઋષિ પરંપરા મુજબ જ્ઞાન આપવામાં આવતું હતું. શિષ્યોએ સમર્થ ગુરુની શોધ કરી તેમની પાસેથી જ્ઞાન મેળવવું પડતું હતું. હવે રાજ્ય સરકાર દ્વારા સામર્થ્યવાન શિક્ષકોની પારદર્શક રીતે ભરતી કરી તેમને શિક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવે છે. ત્યારે, શાળા સદ્દવિચારોની ગંગોત્રી બને તે જોવાની જવાબદારી શિક્ષકોની છે. તેમણે ઉમર્યું કે, દાહોદ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ખૂટતી કડીઓ જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયકોની નિયુક્તિ કરી છે. બહારના જિલ્લામાંથી નિમણૂંક પામનારા શિક્ષકોને અહીંનું વાતાવરણ અને સામાજિક મહોલ બહુ જ અનુકૂળ આવી જાય છે. એટલે કોઇ શિક્ષકોએ કોઇ ચિંતા કર્યા વીના પોતાનું શ્રેષ્ઠ કામ કરવું જોઇએ. બાળક એ શાળાના બાગના ફૂલો છે. તેમાં રંગ ભરવાનું કામ શિક્ષકે કરવાનું છે.

શ્રી ખાબડે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોના હિતમાં નિર્ણય કરી ફાજલનું રક્ષણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, આગામી તા. ૧૧ જાન્યુઆરીથી માધ્યમિક અને ઉચ્ચત્તમ માધ્યમિક શાળામાં શિક્ષણકાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બન્ને નિર્ણયથી નવી નિમણૂંક પામનાર શિક્ષકોને ફાયદો થશે.

કલેક્ટર વિજય ખરાડીએ આ પ્રસંગે જણાવ્યું કે, શિક્ષક તરીકે સતત અપડેટ રહેવું પડશે. વહેતા નીર જો એક સ્થળે એકત્ર થઇ અટકી જાય તો તેમાં લીલ જામી જાય છે. એ રીતે શિક્ષક જો માનસિક રીતે સ્થાયી થઇ જાય તો બાળકના શિક્ષણ ઉપર અસર પડે છે. એટલે, તમામ શિક્ષકો રોજબરોજ નવું શીખતા રહે અને નવું જાણતા રહે તો બાળકોને વધુ સારી રીતે શીખવી શકાય છે.

નવીનત્તમ શિક્ષણ પ્રણાલી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ ઉપર ભાર મૂકતા ખરાડીએ જણાવ્યું કે, બાળકોમાં ભણવા રસ ઉત્પન્ન થાય એ રીતે શિક્ષણ કરવું પડશે. દાહોદ છેવડાનો જિલ્લો છે, પણ અહીં બાળકોમાં શિક્ષણની ભૂખ બહુ જ સારી છે. એટલે નવા શિક્ષકો પાસેથી બહેરત અપેક્ષા હોય એ સ્વાભાવિક છે.

પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઇ. જોશીએ નવનિયુક્ત શિક્ષકોને શીખ આપતા કહ્યું કે, આજે આપણે ચર્ચા કરીએ છીએ કે ગામમાં શિક્ષકની મહત્તા ઘટી ગઇ છે અને શિક્ષકોને ગ્રામજનો સાથેનો સામાજિક અનુબંધ ઓછો થઇ ગયો છે. શિક્ષણ એ માત્ર સરકારી નોકરી નથી. પણ, ગામમાં નવપ્રવર્તનની આલહેક જગાવવાનું કામ પણ શિક્ષકોનું છે. જો એક શિક્ષક ઇચ્છે તો ગામમાં પરિવર્તન આવી શકે છે.

તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિના જીવનમાં કોઇ એક શિક્ષક તો હોય છે, જેમણે તે વ્યક્તિના જીવનમાં બહુ જ પ્રભાવ પાડ્યો હોય છે. ગામ સાથે સામાજિક અનુબંધ કરવાથી બાળકના વિકાસમાં શું ઘટે છે એ બાબત સારી રીતે સમજી શકાય છે અને તેના આધારે શિક્ષણ પ્રદ્ધતિમાં ફેરફાર કરી શકાય છે. બાળકો સાથે લાગણીના સંબંધ સ્થાપિત થાય છે. જોશીએ ઉમેર્યું કે, શિક્ષકના વાણી વર્તન અને વ્યવહારની બાળકોના માનસપટલ ઉપર ખૂબ જ ઉંડી અસર પડે છે. એટલે, નવનિયુક્તિ શિક્ષક તરીકે શાળા અને બાળકને અનુરૂપ વાણીવર્તન કરવા તેમણે અંતે શીખ આપી હતી. મહાનુભાવોના હસ્તે યુવાશિક્ષકોને નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સ્વાગત પ્રવચન જિલ્લા શિક્ષણાધિકારી સુ. કાજલ દવેએ કર્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર ગણાવા, એસ. વી. રાજશાખા, શિક્ષણ નિરીક્ષક સુરેશ મેડા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ

Related posts

Leave a Comment