બંધારણની રચનાને આજે 70 વર્ષ પૂર્ણ થયા, સમયાંતરે 100થી વધુ સુધારા સાથે વધુ સશક્ત બન્યુ

આઝાદી પછી ભારતના બંધારણની રચના અને અમલીકરણની દ્રષ્ટિએ ઈતિહાસમાં 26મી નવેમ્બર અને 26મી જાન્યુઆરી ખાસ દિવસ છે. ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં ભારતીય બંધારણની રચના માટે સમિતિની રચના કરવામાં આવી હતી. વિશ્વભરના અનેક દેશોના બંધારણોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી, લંબાણપૂર્વકની બેઠકો, ચર્ચા વિચારણા તથા સંશોધન બાદ ભારતે વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણની રચના કરી હતી. આ નવા બંધારણને 26મી નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ મંજૂરી આપતા 26મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જોતાં ભારતના બંધારણને આજે 70 વર્ષ પૂર્ણ થાય છે. આ બંધારણનો અમલ 26મી જાન્યુઆરી,1950થી કરવામાં આવ્યો હતો.

ભારત વિશ્વનું સૌથી મોટું બંધારણ ધરાવે છેઃ
ભારત વિશ્વમાં સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ ધરાવે છે. બંધારણ અમલી બન્યું ત્યારે તે 22 ભાગોમાં હતું અને 395 અનુચ્છેદ, 9 અનુસૂચિ હતી. વર્તમાન સમયમાં બંધારણ 448 કલમો, 12 અનુસૂચિ અને 25 ભાગમાં છે. ભારત જેવા વૈવિધ્યપૂર્ણ દેશના બંધારણની રચના કરવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમય લાગ્યો હતો. અત્યાર સુધીમાં ભારતના બંધારણમાં 100 કરતાં વધારે સુધારા કરવામાં આવ્યા છે.

કેવી રીતે બંધારણમાં સુધારો કરી શકાય છેઃ
બંધારણમાં સુધારો કરવા માટે ચોક્કસ વ્યવસ્થાની પણ બંધારણના નિર્માતાઓએ વ્યવસ્થા કરી છે. તેમણે ભવિષ્યના પરિવર્તનને અનુરૂપ સુધારા કરી શકાય છે. સંસદમાં બે-તૃત્યાંશ મત દ્વારા બંધારણમાં સુધારો કરી શકાય છે. કેટલીક બાબતમાં રાજ્યો પાસેથી મંજૂરી મેળવવી જરૂરી છે. બંધારણને ત્રણ પદ્ધતિથી બદલી શકાય છે. સાધારણ બહુમતી દ્વારા, વિશેષ બહુમતી દ્વારા અને વિશેષ બહુમતી તથા રાજ્યોના સમર્થનથી. સૌ પ્રથમ બંધારણીય સુધારો 10મી મે, 1951ના રોજ રજૂ થયો હતો, જેને 18મી જૂન, 1951ના રોજ મંજૂરી મળી હતી. આ સુધારો સ્વતંત્રતા, સમાનતા અને સંપત્તિ સંબંધિત મૌલિક અધિકારોને લગતો હતો. વાણી સ્વાતંત્ર્યના અધિકાર પર યોગ્ય મર્યાદા મુકવાની વ્યવસ્થા કરાઈ. આ સુધારા દ્વારા બંધારણમાં નવમી અનુસૂચિ પણ ઉમેરવામાં આવી હતી.

વિશ્વના વિવિધ દેશોના બંધારણની શ્રેષ્ઠ જોગવાઈઓને ભારતના બંધારણમાં સ્થાન આપવામાં આવ્યુ:
ભારતની સંસદીય પ્રલાણી, એકલ નાગરિકતા, સંસદીય વિશેષાધિકાર, રાષ્ટ્રપતિની કાયદાકીય સ્થિતિ, મંત્રિમંડળની લોકસભા પ્રત્યે જવાબદારી વગેરેની જોગવાઈ બ્રિટન પાસેથી. સંઘિય અને રાજ્ય વ્યવસ્થા કેનેડા પાસેથી, મૂળભૂત અધિકારો, સુપ્રીમ કોર્ટ, બંધારણની સર્વોપરિતા, રાષ્ટ્રપતિ પર મહાઅભિયોગ, ઉપરાષ્ટ્રપતિ પદ, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાય વ્યવસ્થાનો અભિગમ અમેરિકી વ્યવસ્થામાંથી, મૂળભૂત ફરજો રશિયા પાસેથી, અનુચ્છેદની જોગવાઈ જાપાનમાંથી, બંધારણીય સુધારાની જોગવાઈ દક્ષિણ આફ્રિકા તેમ જ કટોકટીને લગતી જોગવાઈ જર્મની પાસેથી અપનાવવામાં આવ્યા છે.

હાથેથી લખાયેલુ છે ભારતનું બંધારણ:
ભારતના બંધારણની મૂળ નકલો હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં હસ્તલિખીત હતી. તેમા ટાઈપિંગ કે પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બન્ને ભાષામાં બંધારણને પ્રેમ બિહારી નારાયણ રાયજાદા દ્વારા લખવામાં આવ્યું હતું. આ બંધારણના લખાણમાં આશરે છ મહિનાનો સમય લાગ્યો હતો. નવાઈની વાત એ છે કે તેમણે બંધારણને લેખિત સ્વરૂપ આપવાના બદલામાં મહેનતાણા અંગે પૂછવામાં આવતા કંઈ પણ લેવાનો ઈન્કાર કર્યો હતો. આચાર્ય નંદલાલ બોઝે ભારતીય બંધારણના દરેક પેજની ચિત્રોથી સજાવટ કરી છે. બંધારણની મૂળ નકલો સંસદની લાઈબ્રેરીમાં હિલિયમથી ભરેલી કેસમાં રાખવામાં આવી છે.

Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment