હિન્દ ન્યુઝ, જામનગર
મહિલાઓના અધિકારો, સુરક્ષા અને તેમના સર્વાંગી સશક્તિકરણ અંગે જનજાગૃતિ લાવવા જામનગર જિલ્લાના નવાનાગના ગામ ખાતે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ગામની બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર અને બહોળી સંખ્યામાં હાજરી આપીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા કાયદાકીય અધિકારોની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.
આ અવસરે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય તથા કારોબારી સમિતિના ચેરમેન શ્રી સુનિલભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓના સન્માન, સુરક્ષા અને સશક્તિકરણ માટે સમાજના દરેક વર્ગનો સર્વાંગી સહયોગ અનિવાર્ય છે. નારી શક્તિ આત્મનિર્ભર બને તે માટે કાયદાકીય જાગૃતિ ખૂબ જ જરૂરી છે. આ શિબિરમાં તાલુકા પંચાયત સદસ્ય શ્રી બળદેવ રાઠોડ, સરપંચ શ્રી કિરણબેન રાઠોડ, ઉપસરપંચ શ્રી કિશોરભાઈ નકુમ અને સભ્ય શ્રી ગોવિંદભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરમાં ઉપસ્થિત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાએ પારિવારિક હિંસાથી મહિલાઓના રક્ષણ માટેના કાયદાકીય પ્રાવધાનો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હિંસા મુક્ત, સુરક્ષિત અને સશક્ત સમાજના નિર્માણમાં ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ એક મહત્વપૂર્ણ હથિયાર સાબિત થઈ રહ્યું છે. જ્યારે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સોનલબેન વર્ણાગરે મહિલાઓને કાયદા હેઠળ ઉપલબ્ધ વિવિધ સુરક્ષાત્મક અધિકારો અને સરકારી સહાય સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે પગભર કરવા માટે સરકારી યોજનાઓની ભૂમિકા સમજાવતા ડીસી શ્રી બંસીબેન ખોડિયારે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની રજૂઆત કરી હતી અને બહેનોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામીણ બહેનોને પ્રોત્સાહક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે DHEW, વન સ્ટોપ સેન્ટર અને પી.બી.એસ.સી. ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
