હિન્દ ન્યુઝ, જામનગર
સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોઢાના રોગો અને ખાસ કરીને મોઢાના કેન્સરના ચિંતાજનક રીતે વધી રહેલા દરને ધ્યાને રાખી સરકારી ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ કાર્યક્રમ અંતર્ગત નિકોટીનના સંકટ વિશે જામનગર જિલ્લાના નાગરિકોને ઘરે ઘરે જઈ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં દર ૧૦ માંથી ૪ લોકો તંબાકુનું સેવન કરે છે, જેમાંથી લગભગ ૫૦% વપરાશકર્તાઓ તંબાકુ સંબંધિત રોગો અથવા કેન્સરથી અકાળે મૃત્યુ પામે છે. આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાન દ્વારા ડેન્ટલ કોલેજના નિષ્ણાતો સીધા લોકોના વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે અને સમયસર નિદાન અને જાગૃતિ દ્વારા અમૂલ્ય માનવ જીવન બચાવી શકાય તે માટે જનજાગૃતિ લાવવાનો પ્રેરક પ્રયાસ હાથ ધરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં મુખ્યત્વે માવો કે સોપારી સાથેના ધુમ્રપાન વગરના તંબાકુનો ઉપયોગ વધુ જોવા મળે છે, જે ‘ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ’ જેવી બીમારીઓ નોતરે છે. આ રોગમાં દર્દીનું મોઢું ખુલવાનું ઓછું થઈ જાય છે અને મસાલેદાર ખોરાક ખાતી વખતે અતિશય બળતરા થાય છે. બીજી તરફ યુવાનોમાં સિગારેટ, બીડી, હુક્કા અને ઈ-સિગારેટનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જે એટલો જ હાનિકારક છે. તંબાકુમાં રહેલું નિકોટીન સીધું મગજના રિસેપ્ટર્સ પર અસર કરી ડોપામિન જેવા ન્યુરોટ્રાન્સમીટર્સનો સ્રાવ વધારે છે, જેના કારણે વ્યક્તિને તેની આદત પડી જાય છે અને તેના અભાવમાં વિથડ્રૉલ લક્ષણો દેખાય છે.
ડેન્ટલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હાથીવાલાએ માત્ર પ્રથમ કે બીજા હાથના ધુમ્રપાન જ નહીં, પરંતુ ‘થર્ડ-હેન્ડ’ અને ‘ફોર્થ-હેન્ડ’ સ્મોકિંગના જોખમો વિશે પણ ચેતવ્યા છે, જેમાં દીવાલો, સોફા કે પાણી અને જમીનમાં ભળતા નિકોટીનના કણો બાળકો અને પર્યાવરણને લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે.
તંબાકુનું સેવન માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ વિનાશક સાબિત થઈ રહ્યું છે. તેના ઉત્પાદન માટે લાખો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે અને ઈ-સિગારેટની બેટરી જેવો કચરો બાયોડિગ્રેડેબલ ન હોવાથી જળ અને જમીન પ્રદૂષિત કરે છે.
