હિન્દ ન્યુઝ, સુરત
કેન્દ્ર સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ પખવાડિયા અંતર્ગત દેશમાં હાલ ‘સ્વચ્છતા’ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત નગર-ગામના વિવિધ સ્થળોની સફાઈ સાથે નાગરિકોમાં સ્વચ્છતાના સંસ્કારને વધુ દ્રઢ બનાવવા સ્વચ્છતાને સ્વભાવમાં વણી લેવા જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યા છે, ત્યારે ૨જી ઓકટોબર-મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર સુરત જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ યોજાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ તા.૨જીએ સવારે ૯:૦૦ વાગ્યે ઓલપાડ તાલુકાના પિંજરત ગામે જિલ્લા કક્ષાના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
“સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાયમી જળવાઈ રહે તે અંગે ગ્રામજનોને માહિતગાર કરી સ્વચ્છતાના શપથ લેવામાં આવશે. સ્વચ્છતા જાળવવા માટે બાળકો, યુવાનો, મહિલાઓ એમ સૌને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પ્રેરિત કરાશે. સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મ જયંતિ દેશમાં ઉજવાઈ રહી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં સ્વચ્છતાનો વ્યાપ વધે એવા સક્રિય પ્રયત્નો થઈ રહ્યા છે.