હિન્દ ન્યુઝ, કચ્છ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે માંડવી ખાતે આધુનિકીકરણ પામેલ ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્માના સ્મારક ‘ક્રાંતિ તીર્થ’ના લોકાર્પણ સહિત કચ્છ જિલ્લાના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ અવસરે ‘Indian Sociologist in London’ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ કચ્છના રાજવી પરિવારને હસ્તગત વન્ય સંપદાઓથી સમૃદ્ધ ‘ચાડવા રખાલ’ વિસ્તારને જીવ સંરક્ષણના હેતુથી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો, જ્યાં હવે વન વિભાગ દ્વારા ₹10 કરોડના ખર્ચે ‘કેરેકલ બ્રિડીંગ અને કન્ઝર્વેશન સેન્ટર’ સ્થાપવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આજના કાર્યક્રમથી ચરિતાર્થ થયો છે. વિદેશમાં રહીને ભારતની આઝાદીની લડતમાં શ્યામજી કૃષ્ણ વર્માના બહુમૂલ્ય યોગદાનનો ઉલ્લેખ કરીને તેમણે ‘ક્રાંતિ તીર્થ’ના નિર્માણ સહિત માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયાસોને પરિણામે સમગ્ર કચ્છમાં થયેલ સર્વક્ષેત્રીય વિકાસ અને સિદ્ધિઓની રૂપરેખા આપી હતી તેમજ સૌના સહિયારા પ્રયાસોથી ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.