ગામતળ સહિત વિવિધ સમસ્યાઓનો ઉકેલ અને જિલ્લામાં વિવિધ કામગીરીની માહિતી આપતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરએ ગામતળના પ્રશ્નો, પ્રિ-મોન્સૂન કામગીરી, વરસાદી પાણીના નિકાલનો ઉપાય, ટ્રાફિક સમસ્યા, ચેકપોસ્ટ પર તપાસ સહિત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપી હતી.

કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં વનવિભાગ, મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગે સંયુક્ત ટીમો બનાવી ધાવા, જાવંત્રી, મંડોરણા, વડાળા, હિરણવેલ સહિતના 16 જેટલા ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, “જે જગ્યા સોંપવામાં આવી રહી છે તે ગ્રામજનો માટે જ સોંપવામાં આવી રહી છે. જે જગ્યા સોંપાઈ છે. તે નિયમોનુસાર જ છે અને ડિમાર્કેશન થવાથી ગ્રામ્ય વિસ્તારમાં સામૂદાયિક વિકાસના કામો જેવાં કે, પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો, કોમ્યુનિટી હોલ વગેરેની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, ‘વહીવટી તંત્ર દ્વારા બાબરિયામાં 60.62 હેક્ટર જમીન આપવામાં આવી છે. દબાણવાળા સ્થળો, પંચાયતના વિવિધ મુદ્દાઓ, માપણીના પ્રશ્નો વગેરે સમસ્યાઓનો ઉકેલ લાવીને ગામતળનો ઉકેલ લાવવામાં આવશે. જે પ્રક્રિયા ચાલુ છે. વધુમાં વનવિભાગ સાથે મળીને વહીવટી તંત્રના સંકલન દ્વારા સર્વે થઈ રહ્યો છે અને પંચાયત વિભાગ, મહેસૂલ સહિતના વિભાગો સાથે સંયુક્ત રીતે નિયમોનુસાર કાર્યવાહી થઈ રહી છે. જેથી આ અંગે મનમાં કોઈપણ પ્રકારની શંકા-કુશંકાઓ રાખ્યા વગર કબજો સંભાળી વિકાસના કાર્યમાં મદદરૂપ બને.”

કલેક્ટરએ જણાવ્યું હતું કે, “સમગ્ર વહીવટી તંત્ર જ્યારે હકારાત્મક વલણ રાખીને સમસ્યાઓના ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે લોકો પણ સ્વેચ્છાએ દબાણો દૂર કરી અને મદદરૂપ થઈ રહ્યાં છે. વધુમાં વહીવટી તંત્ર પણ જનસમસ્યાઓ પ્રત્યે ખૂટતા મુદ્દાઓની પૂર્તિ કરી ઝડપી કાર્યવાહી થાય એ રીતે ઝડપી કામગીરી કરી રહ્યું છે.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, વનવિભાગના પ્રશ્નોને લઈને જેપુર અને ભોજદે ગામના ગામતળની જે સમસ્યા છે. તેનો પણ થોડા સમયમાં ઉકેલ આવશે.

જ્યારે લીડ બેંક મેનેજર ચેતન ઝવેરીએ જણાવ્યું હતું કે, જે રીતે અન્ય સ્થળ માટે હાઉસિંગ લોન અપાતી હોય છે એ જ રીતે લોન આપવામાં આવશે વધુમાં ગ્રામ પંચાયતોને પણ કોમ્યુનિટી હોલ સહિતની જનહિતલક્ષી સુવિધાઓ માટે લોન ઉપલબ્ધ થશે.

ઉપરાંત ધામળેજ, સિંગસર, બડવલા સહિતના જે-જે ગામોમાં નર્મદાનું પાણી પહોંચતું નહોતું. તેવા ગામની રજૂઆતોને ધ્યાને લઈ નર્મદાની લાઈનમાંથી 140 કરતા વધુ ભૂતિયા જોડાણો શોધી કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી આ તમામ ગામોના પાણીના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા દેવકા નદીના કાંઠે ખેતી વિષયક દબાણો દૂર કરી નદી અંદર આવેલા ઝાડી-ઝાંખરા, બાવળ જેવા અવરોધોને સુજલામ-સુફલામ યોજના હેઠળ દૂર કરી દેવકા નદીને ખુલ્લી કરવામાં આવી છે. વળી વેરાવળ બાયપાસ પર તાલાળા ચોકડી આસપાસ થતાં પાણીના ભરાવા તેમજ તેના કાયમી નિકાલ માટે તાલાળા ચોકડીથી દેવકા નદી સુધી, નમસ્તે સર્કલથી સોમનાથ બાયપાસ સર્કલ સુધી નેશનલ હાઈવેની બન્ને બાજુ વરસાદી પાણીના નિકાસને અવરોધતા હાઈવેના કાંઠે બનેલ કોમર્શિયલ, રેસિડેન્શિયલ, સીમના એપ્રોચ રોડ જે જોગવાઈ વિરૂદ્ધ અવરોધતાહતાં એવા 42 સ્થળો પર દબાણ ખુલ્લા કરાવેલ અને પાણીનો અવરોધ ન થાય તે અંગેનો નિકાલ કરાયો હતો.

તાલાળા-વેરાવળ ધોરીમાર્ગ પર જે પણ જગ્યાઓએ દબાણ કરેલા વિવિધ સ્થળો દ્વારા બ્લેકસ્પોટ જનરેટ થતાં હતાં. એવા ગેરકાયદેસર દબાણોને દૂર કરી અને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. આ માર્ગ પહોળો થવાના કારણે ટ્રાફિકની સમસ્યા દૂર થઈ છે.

વધુમાં જે પણ સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થતી હતી તેવા સ્થળોએ 18 કિ.મીમાં કાચી ગટર કરી 11000 ઘનમીટર માટી કાઢવામાં આવી છે. તેમજ લોકોના સહયોગથી કુલ 19 વોટર વે બ્લોક દૂર કરાયા છે. અને તેઓ દ્વારા કુલ 38 પાઈપ સહિત અંદાજીત 95 મીટર પાઈપ નાખવામાં આવ્યાં. ઉમરેઠી પાટિયા પાસે અતિક્રમણ પર ડિમોલેશન કરીને પાણીનું વહેણ હિરણ નદી તરફ વહે અને લોકોને અગવડતા ન પડે તે માટે 3 પાઈપનું પાઈપ કલવટ બનાવવામાં આવ્યું. જેથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ મળી શકે.

જિલ્લામાં ચાલતી ખાણખનીજ ચોરી, ઓવરલોડિંગ વાહનો, અનધિકૃત સામાનની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા ડારી ટોલપ્લાઝા, નલિયા-માંડવી ચેકપોસ્ટ, ગુંદરણ ચોકડી સહિતની જગ્યાઓએ 3 સર્વેલન્સ ટીમની રચના કરીને વાહન ચેકિંગ થઈ રહ્યું છે. આ વાહન ચેકિંગ દરમિયાન તા.21,22 અને 23 એમ ત્રણ દિવસમાં 39 વાહનોને દંડ કરી અને રૂ. 3,47,156ની વસૂલાત કરવામાં આવી છે.

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, તાલાલા મામલતદાર બી.એચ.કુબાવત, તાલુકા વિકાસ અધિકારી ઠુંમર ઉપસ્થિત રહ્યાં હતાં.


Advt.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Related posts

Leave a Comment