હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
“પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ.કિસાન)” યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને પ્રતિ વર્ષ રૂપિયા રૂ.૬૦૦૦/-ની સહાય ત્રણ સમાન હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી ચૂકવવામાં આવે છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનાનો લાભ મળી રહે તે માટે “પી.એમ.કિસાન એકાઉન્ટ”માં ત્રણ જરૂરી વિગતો આપવી ફરજીયાત છે.
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે (૧) લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવી, (૨) બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. અનેબલ તેમજ (૩) પી.એમ.કિસાન પોર્ટલ પર ઈ-કે.વાય.સી. કરાવવું ફરજિયાત છે.
જે ખેડૂતો મિત્રોને ‘પી.એમ.કિસાન’ની સહાય મળતી બંધ થઈ ગઈ હોય તો તેમણે ઉપરોક્ત ત્રણ વિગત અપડેટેડ છે કે નહિ? તે ખેડૂત જાતે ‘પી.એમ.કિસાન વેબસાઈટ’ પર જઈને ચેક કરી શકે છે અથવા ગ્રામ પંચાયતના વી.સી.ઈ. મારફત અથવા ગ્રામસેવક મારફત ચેક કરાવી શકે છે.
જો ઉપરોક્ત ત્રણ વિગતની સામે “NO”/”REJECTED” બતાવે તો (૧) લેન્ડ સીડીંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવા માટે આપના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવો. (૨) બેંક સાથે આધાર સીડિંગ કરાવવા અને ડી.બી.ટી. ઈનેબલ માટે આપનું બેંક ખાતું હોઈ તે બેંકનો અથવા આપની નજીકની ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફીસ)નો સંપર્ક કરીને આધાર લીંક કરી બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. (૩) ઈ-કે.વાય.સી. કરાવવા માટે આપના ગામના ગ્રામસેવક અથવા ગ્રામ પંચાયત વી.સી.ઈ.નો સંપર્ક કરી શકો.
વિગતો અપડેટ કરાવવા માટે લાભાર્થીએ રૂબરૂ આધારકાર્ડ અને મોબાઈલ નંબર સાથે હાજર રહેવું જરૂરી છે. વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ સંબંધિત તાલુકા પંચાયત કચેરી અને વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી)નો અથવા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વી.સી.ઈ. અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Advt.