હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની દેખરેખ હેઠળ જિલ્લામાં કોમન પ્રવેશ પરીક્ષા, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેમજ જ્ઞાનસાધનાની વિવિધ પરીક્ષાઓ તટસ્થ અને શાંત વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૩૦-૦૩-૨૦૨૪ના રોજ ૫૭ પરીક્ષા સ્થળો ઉપર ધો.પમાં અભ્યાસ કરતાં ૧૫,૩૫૩ વિદ્યાર્થીઓની કોમન પ્રવેશ પરીક્ષા યોજાઈ હતી. તદુપરાંત બપોરે ૩.૦૦ વાગ્યે ૫૪ પરીક્ષાસ્થળો ઉપર ધો.૮માં અભ્યાસ કરતાં ૧૩,૩૪૬ વિદ્યાર્થીઓની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટે પરીક્ષા યોજાઈ હતી.
ઉપરાંત ૦૯ પરીક્ષાસ્થળો અને ૯૫ બ્લોક પર ત્રણ તબક્કાઓમાં ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ૧,૭૨૩ પરીક્ષાર્થીઓ પૈકી ફિઝિક્સ-કેમિસ્ટ્રીના ૧,૭૨૩, બાયોલોજીના ૧,૪૪૭ અને મેથ્સના ૨૮૧ પરીક્ષાર્થીઓ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) યોજાઈ હતી.
તમામ પરીક્ષાઓ સુનિયોજીત અને ગેરરીતિવિહીન યોજાય તે માટે કલેક્ટર દ્વારા તમામ પરીક્ષાસ્થળો પર વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પોલીસવડા દ્વારા તમામ પરીક્ષાસ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હતી.