લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત હથિયાર પરવાનેદારોના હથિયાર જમા કરવી દેવા અંગેનું જાહેરનામું બહાર પાડતાં જિલ્લા મેજિસ્ટ્રેટ

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને મુક્ત, ન્યાયી અને શાંતિપુર્વક વાતાવરણમાં ચૂંટણી યોજાય તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન લોકોની સલામતી જળવાઇ રહે, સુલેહશાંતિનો ભંગ ન થાય તે માટે મુંબઇની ઉચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શક સૂચનાઓ તેમજ ભારતના ચૂંટણી આયોગના પત્ર ક્રમાંક : 464/INST/EPS/2023/L&O., તા. ૦૮/૦૬/૨૦૨૩ અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પરવાનેદારોને હથિયારો જમા લેવા બાબતે તથા હથિયાર જમા લેવામાંથી મુકિત આપવા બાબતે સ્કીનીંગ કમીટીની રચના કરવામાં આવેલ છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને જાહેર શાંતિ અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ફોજદારી અધિનિયમ-૧૯૭૩(૧૯૭૪નો રજો અધિનિયમ)ની કલમ-૧૪૪ મુજબ મને મળેલ અધિકારની રૂઇએ આર.કે. મહેતા (આઇ.એ.એસ.), કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર, ભાવનગર શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રહેતા પરવાનેદારોએ તેમની પાસેના પાક રક્ષણ તથા સ્વરક્ષણના પરવાના તળેના હથિયારો તા. ૧૬/૦૩/૨૦૨૪ થી તા. ૦૬/૦૬/૨૦૨૪ સુધી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવાના રહેશે.

સંબંધિત તમામ પોલીસ સ્ટેશન અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં રહેતા અને હથિયાર પરવાનો ધરાવતા તમામ પરવાનેદારો દ્વારા તેમના હથિયારો જમા કરાવવામાં આવે તે માટેના પગલા લેવા તેમજ તમામ હથિયારો જમા થઇ ગયા અંગેની જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

આ જાહેરનામા માંથી ભાવનગર શહેર/જિલ્લામાં આવેલ સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ(બેન્ક/કોર્પોરેશન/ટ્રસ્ટ સહિત)ના, રાજય કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સનને તેમના પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવે છે. માન્યતા ધરાવતી સીકયુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોર્મશીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સીકયુરીટી ગાર્ડને તથા સ્વરક્ષણ માટેનો હથિયાર પરવાનો ધરાવતા સીકયુરીટી ગાર્ડ કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોર્મશીયલ બેન્કોમાં તેમજ ખાનગી કંપની/પેઢીઓમાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય તેવા સીકયુરીટી ગાર્ડને તેમના હથિયારો જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવે છે. આવા સીકયુરીટી ગાર્ડે તેઓ જે તે બેન્ક, સંસ્થા, કંપની કે પેઢીમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધિતોનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે તથા જે તે સંબંધિતો આવા સીકયુરીટી ગાર્ડની વિગતવારની માહિતીની જાણ લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનને કરવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશનએ આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. કેન્દ્ર સરકાર તથા રાજય સરકારના અધિકારી/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલ છે તેમને લાગુ પડશે નહી. કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચુંટણી આયોગે નિમેલા નિરિક્ષકો, મતદાન અધિકારીઓ તેમજ મતગણતરી અધિકારીઓ/કર્મચારીઓ હથિયાર પરવાનેદારોએ તેમના પરવાનાવાળા હથિયારો લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.

આ જાહેરનામાનું પાલન નહી કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨૫ હેઠળ સજાને પાત્ર ઠરે છે તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ પગલા લેવામાં આવશે.

 

 

 

 

Related posts

Leave a Comment