બિપરજોય વાવાઝોડામાં સોમનાથ ટ્રસ્ટ બન્યું નિરાધાર નો આધાર, 10,000 થી વધુ ફૂડ પેકેટ વિતરણ, આશ્રય સ્થાનોમાં ભોજન અપાયું

હિન્દ ન્યુઝ, સોમનાથ

કોઈપણ પ્રાકૃતિક આપદામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા જન સેવા માટે તત્પર રહ્યું છે. ત્યારે તાજેતરમાં બીપરજોય વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદોની મદદ માટે પણ સોમનાથ ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યું હતું.


દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના મામતાસભર માર્ગદર્શનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બિપરજોય ચક્રવાતના ગંભીર સમયમાં જન સેવાના કાર્યો સતત શરૂ રાખ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના સેવાભાવી અભિગમ સાથે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહીવટી તંત્ર સાથે સંકલનમાં કરી વાવાઝોડા પૂર્વે 5000 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. અને વાવાઝોડા બાદ અસરગ્રસ્તો માટે વધુ 4000 જેટલા ફૂડ પેકેટ દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટી તંત્રને પહોંચાડવામાં આવ્યા હતા જેનું તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવ્યું હતું.


બિપરજોય વાવાઝોડાના તોફાની પવનો વચ્ચે વેરાવળ પંથકના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રેહતા જરૂરિયાતમંદ લોકોની ક્ષુધા સંતોષવા સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે બૂંદી ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા  RSS ના સ્વયંસેવકોની મદદથી પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવાર સુધી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અલગ અલગ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી કે કાચા મકાનોમાં રહેતા જરૂરિયાત મંદોને શોધીને તેમને સોમનાથ મહાદેવના પ્રસાદ સ્વરૂપે બુંદી અને ગાંઠિયાના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. અને તેઓને કોઈપણ પરિસ્થિતિમાં પૂરતો સહયોગ આપવા માટે તૈયારી બતાવવામાં આવી હતી.


કોમ્યુનિટી હોલ ખાતે સ્થળાંતર કરાયેલા 35 જેટલા લોકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવાર અને સાંજ બંને સમયનું ભરપેટ ભોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોના હાથે મોકલવામાં આવ્યું હતું. મહાદેવ નો મહાપ્રસાદ વિતરણ કરીને દરેક મનુષ્યમાં વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે ભોજન પચાવતા પરમાત્માની પૂજા કરવામાં આવી હતી.


આવી રીતે ટ્રસ્ટના માન. અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ઓજસ્વી માર્ગદર્શનમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ “સર્વજન સુખાય, સર્વજન હિતાય”, ના ધ્યેય સાથે સતત જનકલ્યાણની જ્યોત જલાવી રહ્યું છે. અને કોઈપણ આપદામાં લોકોની તમામ સંભવિત મદદ કરવામાં મોખરે રહ્યું છે.

Related posts

Leave a Comment