સાંસદ મિતેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાસદ ખાતે સીટી સર્વેનો માર્ગદર્શન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ

            આણંદ જિલ્લાના જનસામાન્યને તેમના પ્રશ્નોનું ગામમાં જ નિરાકરણ મળી રહે તે માટે સાંસદ મિતેષભાઈ પટેલની સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરી, આણંદને કરવામાં આવેલી રજુઆત થકી વાસદ ગ્રામ પંચાયત ખાતે સીટી સર્વે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદના વાસદમાં વર્ષ 2001-02માં સિટીસર્વે સર્વેયર દ્વારા ક્ષતિપૂર્ણ સર્વે થયો હતો.જને કારણે નાગરિકોની મિલકતોના માલિકી હકોમાં મોટા ફેરફારો નોંધાયા હતા.વખતો વખત આ પ્રશ્નો અને ક્ષતિઓના નિરાકરણ માટે છેલ્લા બે દાયકાથી નાગરિકો પીડાતા હતા. ગાંઠના ખર્ચે સરકારી કચેરીઓના ઘક્કે ચઢી ધન અને સમયનો ખૂબ વ્યય થતો હતો.આ બાબતે સાંસદને વારંવાર રજૂઆતો થઈ હતી પરંતુ કેસ ની સંખ્યા પણ મોટી હોઈ સાંસદ દ્વારા કલેકટર અને અન્ય સંબંધિત વિભાગ સાથે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી અને જે મુજબ વાસદ ગ્રામ પંચાયત ખાતે માર્ગદર્શન કેમ્પ નું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે સાંસદએ જણાવ્યું હતું કે, ગામના લોકોને સીટી સર્વેને લગતા પ્રશ્નોનું ગામમાં જ નિરાકરણ મળી રહે તેમજ ગ્રામજનોના સમય અને શક્તિનો બચાવ થાય તે માટે વહીવટી તંત્રના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં આ પ્રકારે યોજનાર આ પ્રથમ કેમ્પ છે, જેના માધ્યમથી ગામના લોકોને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મળવાની સાથે અપીલ કરવાની થતી હોય તો તે અંગે પણ માર્ગદર્શન મળશે તેમ જણાવી, ઉપસ્થિત અધિકારીઓને લોકોના પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય તે જોવા અનુરોધ કર્યો હતો.

આ કેમ્પ અંતર્ગત જે અરજદારોની અરજીનો નિકાલ થયો હતો, તેવા અરજદારોને સાંસદના હસ્તે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ એકતાબેન, સીટી સર્વે કચેરીનો સ્ટાફ, ગામના વહીવટદાર, તલાટી કમ મંત્રી તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરોચીફ આણંદ : ભાવેશ સોની

Related posts

Leave a Comment