હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનાં એપ્રિલ-૨૦૨૩માં નિવૃત થતા ૧૩ કમર્ચારીઓને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ છે.
આ પ્રસંગે મ્યુનિ. કમિશનરએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં અઢી-ત્રણ દાયકા સુધીની લાંબી કારકિર્દીમાં જનહિતના કાર્યોમાં સેવા આપીને નિવૃત થઇ રહેલા તમામ કર્મચારીઓની સાથોસાથ તેમના પરિવારજનોનો પણ હું મહાનગરપાલિકા વતી આભાર વ્યક્ત કરું છું. પરિવારજનોના સાથ સહકારના કારણે જ અધિકારીઓ – કર્મચારીઓ પુરી નિષ્ઠાથી ફરજ બજાવે છે. નિવૃત થતા અધિકારીઓ – કર્મચારીઓ હવે જીવનમાં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓ સ્વસ્થ અને નીરોગી રહે તેમજ પોતાના સંતાનોના સંતાન સાથે શાંતિ અને આનંદથી સમય પસાર કરે એટલે કે તેઓ વ્યાજ સાથે જિંદગી માણે એવી શુભેચ્છા પાઠવું છું. સંતાનોના સંતાનને આપણે વ્યાજ પણ કહીએ છીએ. આ નિવૃત થયેલ કર્મચારીઓ નોકરીમાં જોડાયા હશે ત્યારે રાજકોટની વસ્તી પાંચેક લાખની હશે જે આજે વીસ લાખ જેવી છે ત્યારે તેઓની કર્તવ્યનિષ્ઠાને હું બિરદાવું છું. મહાનગરપાલિકાના જયારે પણ તેઓના માર્ગદર્શનની જરૂર હશે ત્યારે મળી રહેશે તેવી મને ખાત્રી છે અને તેઓના પ્રશ્નો માટે રાજકોટ મહાનગરપાલિકાનો પરિવાર હંમેશા તેઓની સાથે રહેશે.
એપ્રિલ-૨૦૨૩નાં છેલ્લા દિવસે (૧) એ.એન.સી.ડી. શાખાના લેબર જોષી નટવરલાલ ધીરજલાલ, (૨) આવાસ યોજનાના જુનીયર ક્લાર્ક ભટ્ટ નીતેશભાઈ રસિકલાલ, (૩) ભાદર સ્કીમના હેલ્પર વેકરીયા વલ્લભભાઈ નારાયણભાઈ, (૪) ડ્રેનેજના ડ્રાઈવર મકવાણા મનસુખભાઈ સુરાભાઈ, (૫) ફિલ્ટર પ્લાન્ટના હેલ્પર ઝીંઝુવાડિયા ગાગજીભાઈ હમીરભાઈ, (૬) જી.એ.ડી.ના સિનીયર ક્લાર્ક કતીરા બીપીનભાઈ કાંતિલાલ, (૭) જનરલ કંસરવેન્સીના ડ્રાઈવર શ્રી જાડેજા પ્રદ્યુમનસિંહ ભીખુભા, (૮) આરોગ્ય શાખાના હેડ ક્લાર્ક ડોડીયા શૈલેશભાઈ પ્રતાપભાઈ, (૯) લાઈબ્રેરીના જુનીયર ક્લાર્ક કલોલા રસિકભાઈ ગિરધરભાઈ, (૧૦) રોશની શાખાના લાઈન મેન ઝાલા ગજેન્દ્રસિંહ જસવંતસિંહ, (૧૧) વોટર વર્કસ શાખાના એડી. આસી. એન્જી. વાજા નવીનચંદ્ર છગનભાઈ, (૧૨) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારી વાઘેલા લક્ષ્મીબેન પ્રાગજીભાઈ અને (૧૩) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારી સાગઠીયા પાલુબેન ગોરાભાઈ સ્ટાફ નિવૃત થયેલ છે.
એપ્રિલ-૨૦૨૩ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી, સહાયક મ્યુનિ. કમિશનર સમીર ધડુક, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, આરોગ્ય અધિકારી જયેશ વકાણી, સિટી એન્જી. દેથરીયા, એ.એન.સી.ડી.ના વેટરનરી ઓફિસર ડૉ. બી. આર. જાકાસણીયા, આસિસ્ટન્ટ મેનેજરઓ મનિષ વોરા અને દિપેન ડોડીયા સહીતનાં અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.