હિન્દ ન્યુઝ, ભુજ
મારો ૮ જણનો પરીવાર વર્ષોથી કાચા મકાનમાં રહેતો હતો. જે અત્યંત જર્જરીત હોવાથી ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિ હતી. પરંતુ સરકાર દ્વારા ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવતા અમને પાકી છત નસીબ થઇ છે. જેનો આનંદ આખા પરીવારમાં છે તેવું પાન્ધ્રોમાં રહેતા આવાસ યોજનાના લાભાર્થી હિરજીભાઇ સુમારભાઇએ જણાવ્યું હતું .
હિરજીભાઇ જણાવે છે કે, મારા પરીવારમાં મારી બિમાર પત્ની સહિત ૫ દિકરી અને એક દિકરો છે. તેના ભરણ-પોષણની જવાબદારી તથા દિકરીઓને પરણાવવાની ચિંતા વચ્ચે પાકું મકાન બનાવવું મારા માટે અશકય હતું. જેના કારણે કાચા મકાનમાં ટાઢ, તાપ અને વરસાદ સહન કરીને પણ અમે રહેતા હતા. પરંતુ સરકારે આવાસ યોજનામાં અમને લાભ આપતા હાલે અમે પાકું મકાન બનાવ્યું છે. જાણે અમારા તમામ સપના સાકાર થયા હોય તેવી અનુભૂતિ થઇ રહી છે. હવે કોઇપણ ચિંતા વિના હું મારા પરીવારની સારસંભાળમાં મારું ધ્યાન પરોવી શકીશ .

