ભાવનગર ખાતે ૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં ૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કોર્ટ હોલ ખાતે કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે.

આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે.

સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર તેમજ ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા જ્યાં હોય ત્યાં જઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે.

કલેક્ટરએ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલાં અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રાંત અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નાયબ મામલતદાર, બી.એલ.ઓ., સેક્ટર ઓફિસરોની કામગીરીને અને બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર, યુવા મતદાર, પી.ડબલ્યુ.ડી.મતદાર, સિનિયર સીટીઝન મતદારોને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.

આ કર્મચારીઓના ખંતને જોઇને અન્ય કર્મચારીઓને પણ પ્રેરણાં મળતી હોય છે તેમ જણાવી તેમણે સુગમ, સમાવેશી અને સહભાગીની થીમ પર યોજાઇ રહેલાં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી.

ચૂંટણીમાં એકએક વોટ અગત્યનો હોય છે ત્યારે જાગૃત નાગરિક તરીકે બાકી રહેલાં નાગરિકો પણ પોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરી લે અને જો ન નોંધાયું હોય તો સત્વરે નોંધાવી દે તે માટેની અપીલ પણ તેમણે કરી હતી.

આ માટેની નોંધણી એપ દ્વારા પણ કરી શકાય છે તે અંગેની જાગૃતિ લાવવાં માટે તેમણે તંત્રવાહકોને અનુરોધ કરતાં કહ્યું કે, ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવા નાગરિકો મતદાર યાદીમાં નોંધણી કરાવી મતદાન માટે લાયક બની લોકશાહીને મજબૂત અને સુદ્રઢ બનાવવી એ આપણી ફરજ છે.

આ પ્રસંગે તળાજા પ્રાંત અધિકારી વી.ડી.રાતડા, મહુવા પ્રાંત અધિકારી એન.એસ.પારીતોષ, જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે.વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એન.કટારા સહિતનાં અધિકારીઓ, બી.એલ.ઓ.ઓ અને વિવિધ કોલેજોનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment