હિન્દ ન્યૂઝ, ખેડા
જિલ્લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓએ પોતાની ફરજના સ્થળે હાજર રહેવા કલેકટરની તાકીદ
ખેડા જિલ્લામાં વાવાઝોડામાં સાવચેતીના પગલા લેવા
અંગે અગાઉથી તૈયારી કરી લેવામાં આવી છે તેમ જણાવતા જિલ્લા કલેકટર ખેડા જિલ્લાના ૪ (ચાર) તાલુકામાં કંટ્રોલરૂમ શરૂ કરાયો. જિલ્લાના ૪(ચાર) તાલુકામાં ખાસ તકેદારીના ભાગરૂપે અધિકારીઓની લાયઝન અધિકારી તરીકે નિમણુક કરાઇ. જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો ટેલીફોન નં.-૦૨૮૬-૨૫૫૩૩૫૭/૫૮ ખેડા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઇ ખેડા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે આજે પત્રકાર પરીષદને સંબોધી હતી. જેમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અગમચેતીરૂપે લેવાયેલા પગલાની જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે જિલ્લાના સૌ નાગરિકોને જિલ્લા કલેકટરએ સલામતી સ્થળે રહેવા તથા બિન જરૂરી બહાર ના નીકળવા અપીલ કરી હતી. કલેકટરએ સંભવિત પૂર/વાવાઝોડાની પરિસ્થિતિમાં તાત્કાલિક સંપર્ક કરી શકાય તે માટે જિલ્લા કક્ષાએ ઉભા કરવામાં આવેલ કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત છે તેમ જણાવી જિલ્લાના નાગરિકોને જરૂર પડે કન્ટ્રોલ રૂમના ફોન નં-૦૨૬૮-૨૫૫૩૩૫૭/૫૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ હતું. કલેકટરએ ઉમેર્યું હતું કે, હવામાન વિભાગની આગાહિ અનુસાર ૮૦ થી ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફુકાવાની શકયતા રહેલી હોવાથી નાગરિકોને પડી જાય તેવા જર્જરીત મકાનો તથા પવનમાં ઉડી જાય તેવા કાચા ઝુંપડાઓથી સહિ સલામત રીતે જિલ્લા વહિવટીતંત્રની દેખરેખ નીચે સ્થળાંતર કરી લેવાનું રહેશે. નાગરિકોને બિન જરૂરી રીતે આ સમયગાળા દરમ્યાન બહાર નીકળવાનું ટાળવું જોઇએ. તેઓએ ઉમેર્યું હતું કે, આપણા જિલ્લામાં માતર તાલુકાના ખંભાત બાજુના ગામોમાં આ વાવાઝોડાની વધારે પ્રમાણમાં અસર થાય તેવી શકયતાઓ રહેલી હોવાથી માતર મુકામે એનડીઆરની ટીમોને ઉતારી દેવામાં આવી છે જેથી જરૂર પડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શકાય તેમજ વાવાઝોડાના કારણે ઝાડ પડી જાય તેમજ વીજ પોલ તુટી પડે તેની પણ તાત્કાલિક ધોરણે મરામત થાય અને નાગરિકોને અગવડતા ના પડે તે માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, જંગલ ખાતાના અધિકારીઓ, વીજળી વિભાગના અધિકારીઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ ફરજ ઉપર મૂકવામાં આવેલ છે. કોવિડ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને તકલીફ ના પડે તે માટે પણ આગોતરા આયોજનના ભાગરૂપે જનરેટરની વ્યવસ્થા તેમજ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા પણ રાખવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેઓએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં નગરપાલિકા વિસ્તારોમાંથી ૧૨૫ જેટલા નાગરિકોને અગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતરણ કરાયેલ છે. જયારે જિલ્લામાં ૭૦ થી વધુ હોર્ડિગ્સને ઉતારી લેવામાં આવેલ છે.માતર તાલુકાના દલોલી, વાલોત્રી, બામણગામ, સીંજીવાડા, હાડેવા ગામને વધુ અસર થવાની સંભવાના રહેલી હોવાથી તેઓને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે તેમજ તે ગામો ખાતે ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લાના ફાયરબ્રિગેડ પણ છેલ્લા બે દિવસથી સ્ટેન્ડ ટુ છે.
આમ જિલ્લા કલેકટર આઇ.કે.પટેલએ આ વાવાઝોડાની પરિસ્થિતિમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા થયેલ તૈયારીની રૂપરેખા આપી જિલ્લાના નાગરિકોને આ સમયગાળા દરમ્યાન કોઇ મુશ્કેલી પડે તો તાત્કાલિક નજીકના સલામત સ્થળે ખસી જવા અને જિલ્લા વહિવટીતંત્રનો સંપર્ક કરવા જણાવ્યું છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

