ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો/ઉમેદવારોએ હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટે પાલન કરવાની સૂચનાઓ અંગે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભારત ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪નાં રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગના પરીપત્ર તા.૧૨/૧૧/૨૦૦૭થી આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટેની સૂચનાઓ થયેલ છે.જેને અનુલક્ષીને ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

જાહેરનામામાં દર્શાવ્યાં મુજબ જાહેર કે ખાનગી સ્થળે કોઇ પણ પ્રકારના દબાણ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહિં. ધાર્મિક સ્થળોએ કે તેના પરીસરમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. કોઇ પણ શૈક્ષણિક સંસ્થા કે દવાખાનાની આજુ-બાજુમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં.

હયાત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં ચૂંટણી કાર્યાલય શરૂ કરી શકાશે નહીં. ચૂંટણી કાર્યાલયે રાજકીય પક્ષનો એક જ ફલેગ તથા પક્ષના ચિન્હ/ફોટોગ્રાફ સાથેનું એક જ બેનર પ્રદર્શિત કરી શકશે તેમજ ચૂંટણી કાર્યાલયે પ્રદર્શિત કરેલા બેનરની સાઈઝ ૪ફૂટ×૮ફૂટ થી વધુ હોવી જોઇએ નહીં.

સદર જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થતા સમય સુધી અમલમાં રહેશે.

 

 

 

Related posts

Leave a Comment