કોડીનારમાં પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે રૂ.૫ કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું થયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

સોમનાથ જિલ્લામાં પ્રવાસનને વેગ મળ્યો છે ત્યારે સરકાર દ્વારા કોડીનાર તાલુકાને વધુ એક ભેટ આપવામાં આવી છે. કોડીનારમાં પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગ,માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના વરદ હસ્તે અંદાજીત ૫ કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે કોન્ટ્રાક્ટર એસોસિએશને મોમેન્ટો આપી મંત્રી નું સન્માન કર્યું હતું. જે પછી મંત્રીએ રિબિન કાપી તક્તિનું અનાવરણ કર્યુ હતું.

આ તકે મંત્રીએ વિવિધ કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, રાજ્યની અંદર માર્ગ અને મકાનની ભૂમિકા એકબીજાને જોડવાની છે. કનેક્ટિવિટીનું ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રવાસન, શૈક્ષણિક, સામાજીક કે ધંધાકીય અર્થે  જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઝડપી ટ્રાન્સપોર્ટેશન અગત્યનું છે. ઓછા સમયમાં ઝડપી ટ્રાન્સપોર્ટેશન થાય તે માટે વિવિધ માર્ગોના કામ પૂરઝડપે કાર્યરત છે. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ જે અંતરિયાળ વિસ્તારમાં રસ્તાઓની સુવિધા નથી એવા ૪૧૪ વિસ્તારોને ઓળખી ૫૦૦ કરોડના ખર્ચે રસ્તાની સગવડ આપવામાં આવશે તેમજ સુત્રાપાડા-ધામળેજ, સામતેર-બેડિયા-કંટાળા, તાલાલા-જામવાડા, કોડીનાર-સુત્રાપાડા રોડની રિસર્ફેસિંગ અને સમારકામ કરવાની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત મંત્રીએ વિશ્રામગૃહનો ઉલ્લેખ કરી વધુ પ્રવાસીઓ લાભ લે એવી અપીલ કરી હતી.

કોડીનાર તાલુકામાં ૫૧૨-ક્વાર્ટર સામે, બાયપાસ રોડ પર નવનિર્મિત વિશ્રામગૃહમાં ગ્રાઉન્ડ ફ્લોર સાથે ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ કરવામાં આવેલ છે. કુલ ૨૦૪૫.૦૦ ચો.મી. બિલ્ટઅપ એરીયામાં પથરાયેલા આ વિશ્રામગૃહમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ૪ ડિલક્ષ રૂમ, ૩ વીઆઈપી રૂમ, ૧ કોન્ફરસ હોલ (કેપેસીટી–૧૬), ૧ વીઆઈપી ડાઈનીંગ રૂમ (કેપેસીટી–૨૪), ૧ જનરલ ડાઈનીંગ (કેપેસીટી–૩ર), ૧ રીસેપ્શન રૂમ આવેલા છે. જ્યારે તથા ફર્સ્ટ ફલોરમાં ૨ વીઆઈપી સ્યુટરૂમ, ૩ વીઆઈપી રૂમ, ૧ ડિલક્ષ રૂમ, ૨ ડોરમેટરી અને ૧ વીઆઈપી લાઉન્જ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ વિશ્રામગૃહ કોડીનાર-ઉના-બાયપાસ રોડ પર શહેરની નજીક જ બનાવવામાં આવેલ છે. જેથી કોડીનાર શહેરની ચોતરફ સોમનાથ, મૂળ દ્વારકા, પ્રાચી, તુલસીશ્યામ જેવા ધાર્મિક સ્થળ તેમજ દીવ જેવું પર્યટન સ્થળ આવેલું હોવાથી પર્યટકો માટે રાત્રી રોકાણની સુવિધા પણ મળી રહેશે.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમારે ગીર સોમનાથ જિલ્લાની વિકાસની સફર વર્ણવી હતી. જ્યારે આભારવિધિ માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણાએ કરી હતી. આ તકે પ્રાંત અધિકારી જ્વલંત રાવલ, સરપંચઓ, આગેવાનો અને અગ્રણીઓ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પહેલા મંત્રીએ વેરાવળના આસ્થાના પ્રતીક સમાન જાલેશ્વર મંદિરમાં આશીર્વાદ લઈ નવા જાલેશ્વર  બ્રીજની કામગીરીનું માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યુ હતું. જે દરમિયાન વેરાવળ અગ્રણી કિશોરભાઈ કુહાડા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં

Related posts

Leave a Comment