હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરાથી ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત રૂ.૨૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં રાજ્યના 13 રેલવે સ્ટેશનોના નાવિન્યકરણ માટે રૂ.૫૬૨૦ કરોડના શિલાન્યાસ તથા ઈ-ખાતમુહૂર્ત કરાયા હતાં. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રૂ.૧૫૭ કરોડના ખર્ચે સોમનાથ રેલવે સ્ટેશનની કાયાપલટ માટે તેમજ મુસાફરોની સુવિધા વધે તે માટે નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સોમનાથમાં દેવાધિદેવ મહાદેવ બીરાજે છે. જે સમગ્ર જ્યોતિર્લિંગમાં પ્રથમ જયોતિલીંગ છે. ઉપરાંત ત્રિવેણી સંગમ પણ છે. જેથી સોમનાથ એક પ્રાચીન મહત્વ ધરાવે છે. પુનર્વિકાસ પરિયોજનાનો હેતુ રેલવે દ્વારા સોમનાથની મુલાકાતે આવતા તીર્થયાત્રીઓના અનુભવને વધારે ઉત્તમ બનાવશે. અલગ-અલગ પર્યટક આકર્ષણો સાથે આ સ્થળને ઉત્તમ પર્યટન સ્થળ બનાવવા માટે પણ આ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટના ખાતમુહૂર્તમાં જૂનાગઢ અને ગીર સોમનાથના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને વેરાવળ પાટણ સંયુક્ત નગર પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
