હિન્દ ન્યુઝ, બોટાદ
આઝાદીના અમૃત મહોત્સવ તથા પૂ.પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન મુજબ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તેમજ ખેડૂતોને વિશેષ પ્રોત્સાહન મળે તે હેતુસર બોટાદ જિલ્લા પ્રશાસન તથા BAPS સ્વામિનારાયણ મંદિર, સાળંગપુરના સંયુક્ત ઉપક્રમે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તા.૧૫ મી, જુન, ૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે બરવાળાના BAPS સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ સંમેલન યોજાશે.
આ કાર્યક્રમમાં પૂ.સાધુ જ્ઞાનેશ્વર સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિ તેમજ બોટાદ ના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, જિલ્લાના ખેડૂતો પણ ઉક્ત કાર્યક્રમમાં સહભાગી બનશે.
આ પ્રસંગે માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતાં જિલ્લાના ૧૩ ખેડૂતોને સન્માનિત કરાશે. તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ૫ ખેડૂતો પોતાના પ્રતિભાવો પણ રજૂ કરશે. આ ઉપરાંત સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી ખેડૂતોને મળી રહે તે હેતુસર વિવિધ વિભાગોના સ્ટોલ તથા પ્રદર્શનની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ