કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

    જામનગર જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જામનગર જિલ્લાની વિવિધ વિકાસલક્ષી રજુઆતો તેમજ ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે સવિસ્તર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને રજૂઆતોની તેમજ પડતર પ્રશ્નો અંગે વિભાગવાર સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વર્તમાન સ્થિતિ, કરવામાં આવેલી કાર્યવાહી તથા બાકી રહેલા કામ અંગે જરૂરી વિગતો મેળવી ચર્ચા કરવામાં આવી હતી. 

બેઠકમાં મુખ્યત્વે પાણીના સંપ, ટાંકા, ચેકડેમ તથા સિંચાઈ સંબંધિત કામોને મંજૂરી, જમીન સંપાદન અને જમીન પરત-વળતર, જમીન માપણી તથા સર્વે રેકર્ડમાં સુધારા, ગોચર જમીનની માપણી, અનુસૂચિત જાતિ સમાજ માટે જમીન ફાળવણી, પાક વીમાની ચૂકવણી, વીજપોલ/વીજલાઈનના પ્રશ્નો, નવા રસ્તાના કામમાં આવતી અડચણો દૂર કરવા, આધારકાર્ડની કામગીરી, ગામતળ પરથી દબાણ દૂર કરવા, ગામની જમીન ફાળવણીમાં ફેરફાર, એસ.ટી.બસના રૂટ ફાળવવા, બીએસએનએલ નેટવર્કને લગત પ્રશ્ન, ઘાસ વિતરણ વ્યવસ્થા અંગેના પ્રશ્નો ઉપરાંત પીજીવીસીએલ, વન વિભાગ, શિક્ષણ વિભાગ, પીવાના શુદ્ધ પાણીની વિતરણ વ્યવસ્થા, આઈસીડીએસ વિભાગ, આરોગ્ય વિભાગ, રસ્તા, પાણી, વીજળી, સિંચાઈ, જાહેર સુવિધાઓ, નાગરિક સેવાઓ સહિતના પ્રશ્નો અંગે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. 

જે પ્રશ્નોમાં આંતરવિભાગીય સંકલનની જરૂરિયાત હોય તેમાં સંબંધિત વિભાગો પરસ્પર સંકલન સાધીને કાર્યવાહી કરે અને કામગીરીની પ્રગતિ અંગે સમયાંતરે સમીક્ષા કરવામાં આવે તે માટે પણ જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરએ ધારાસભ્ય દ્વારા પ્રજાના હિતને લગતા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપી, તેમનું સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. પડતર પ્રશ્નોનો શક્ય તેટલો વહેલો નિકાલ થાય તેમજ પ્રજાલક્ષી રજૂઆતો અંગે હકારાત્મક અભિગમ સાથે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

Related posts

Leave a Comment