GSFDCના ગૌરવવંતા ૫૦ વર્ષ
હિન્દ ન્યુઝ, બરોડા
ઉત્કૃષ્ટ કામગીરી કરેલા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નિવૃત અને કાર્યરત અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા
ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા પોતાની સ્થાપનાના પચાસ વર્ષ થવાના સુવર્ણ જયંતી ઉજવણી કાર્યક્રમનું વિશેષ આયોજન બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, અલકાપુરી ખાતે GSFDCના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. એ.પી.સિંહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નિગમની છેલ્લા પાંચ દાયકાઓની વર્ષ ૧૯૭૬ થી ૨૦૨૬ સુધીની સુવર્ણ સફર, વન સંરક્ષણ, વનવાસીઓનો સર્વાંગી વિકાસ અને તેમની આજીવિકા માટે કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યોની વિગતવાર જાણકારી આપવામા આવી હતી. કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નિવૃત અને કાર્યરત અધિકારી-કર્મચારીઓને મુખ્ય મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. સાથે સાથે ઉપસ્થિત વિવિધ અગ્રણીઓએ પોતાના વક્તવ્ય થકી વન વિભાગ અને નિગમની અથાક મહેનત, નિષ્ઠા અને કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન GSFDCના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ.એ.પી.સિંહએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સ્થાપના ૨૦ ઓગસ્ટ ૧૯૭૬ના રોજ કરવામાં આવી હતી. આ નિગમનો મુખ્ય ઉદ્દેશ્ય વનવાસીઓ અને ગ્રામીણ વિસ્તારોના લોકોને રોજગારી પૂરી પાડવાનો તથા ગૌણ વન પેદાશો જેવી કે મહુડા, ટીમરુ અને ગુંદર એકઠા કરી, આદિવાસીઓનું શોષણ અટકાવી યોગ્ય માર્કેટિંગ કરવાનો હતો.
તેમને વધુમાં ઉમેર્યું કે, હાલ નિગમ દર વર્ષે અંદાજે ૫૦ હજાર લોકોને રોજગારી અને ૨૫ લાખથી વધુ માનવદિનો ઉભા કરી રોજગાર સર્જ્ન કરે છે. નિગમ દ્વારા સમગ્ર ગુજરાતમાં પાનમ પ્રોજેક્ટ, વનલો ઉદ્યોગ અને ધનવંતરિ આયુર્વેદિક ઉત્પાદનો, મધઉત્પાદન જેવા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.
નિગમના ૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘વિઝન ૨૦૪૭’ હેઠળ ભવિષ્યના૧૫ થી૧૭ જેટકલા રોડમેપ તૈયાર કર્યો અંગે સૌને અવગત કર્યા હતા.જેમા મુખ્યત્વે નવી વ્યૂહરચના હેઠળ પડતર જમીનો પર PPP મોડલ દ્વારા કોમર્શિયલ પ્લાન્ટેશન, હાઇ-ટેક નર્સરીઓની સ્થાપના, મધ પ્રોસેસિંગ, વુડ રિસોર્સિસ માર્કેટિંગ પોર્ટલ, ગૂગળ જેવી લુપ્ત થતી પ્રજાતિઓનું વન વિસ્તાર બહાર વાવેતર કરીને જૈવવિવિધતા અને સ્થાનિક મધમાખીઓના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં અંગે જાણકારી આપી હતી.
અંતે તેમણે વનવાસીઓના જીવનધોરણને ઊંચું લાવવા અને પર્યાવરણ જતન ક્ષેત્રે વન વિકાસ નિગમના યોગદાન અંગે વિગતવાર ચર્ચા કરી નિગમની કામગીરીની સરાહના કરી હતી.
કાર્યક્રમમા નિવૃત આઈએફએસ શ્રી એ.કે.વાસને પોતાના વક્તવ્યમા વન ઉદ્યોગને મજબૂત કરવા, ધન્વંતરી પ્રોજેક્ટ દ્વારા આયુર્વેદિક સંશોધનને પ્રોત્સાહન આપવા અને બિન-જંગલ વિસ્તારોમાં કોમર્શિયલ પ્લાન્ટેશન કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે પોતાની કારકિર્દી દરમિયાન મહાસન્માન પુરસ્કાર બદલ આભાર વ્યક્ત કરીને આગામી ડાયમંડ અને પ્લેટિનમ જ્યુબલીમાં પણ ભાગ લેવાની આશા વ્યક્ત કરી નિગમના કર્મચારી અધિકારીઓને આત્મવિકાસ, આધ્યાત્મિકતા અને સમાજ સેવા દ્વારા જીવન જીવવાનો સંદેશ પાઠવ્યો હતો.
નિવૃત આઈએએસ અધિકારી ચતુર્ભૂજ ચૌધરીએ વન વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વન વિભાગનું કામ અત્યંત મજબૂત અને ગુણવત્તાસભર છે. કારણ કે તેઓ પોતાના કામને સમર્પિત છે. તેમણે વન વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી સેવા અને આતિથ્ય સત્કારની ખુબ સરાહના કરી હતી. સમાજમાં વન વિભાગનું એક અત્યંત મૂળભૂત અને મહત્તવપૂર્ણ યોગદાન છે. તથા આગામી સમયમાં આ ક્ષેત્રમાં વધુ ઉત્કૃષ્ટ કામગીરી કરવાનો મોટો અવકાશ પણ રહેલો છે એમ અંતે ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં વન વિકાસ નિગમની કામગીરી અંગે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળી આવનાર વર્ષોમાં થનારા નવા સુધારા કે નવા પ્રોજેક્ટ અંગે પ્રશ્નોત્તરી અને ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યક્રમમા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નિવૃત અને કાર્યરત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
