હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને આજરોજ દાહોદ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઓડિટરીયમ હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ કાર્યક્રમ યોજાયો હતો.
આપણે આઝાદીના અમૃત વર્ષ ૭૫ વર્ષમાં પ્રવેશ્યા ત્યારે ૧૪૦ કરોડ ભારતીયોના માનસપટ પર આઝાદી મળતા પહેલા વિભાજન પીડિતોની સ્મૃતિ હંમેશા યાદ રહે તે માટે ૧૪ ઑગસ્ટ, ૨૦૨૧ના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનું નક્કી કરેલ છે. વિભાજન માત્ર પીડાની સ્મૃતિ નથી, પણ ફરી વસેલા લોકોની મહેનત અને દેશ પ્રત્યેની લાગણીની સ્મૃતિઓ છે.
ભાગલા પડ્યા ત્યારે દોઢ કરોડ વિસ્થાપિતો અને શરણાર્થીઓને પુનઃસ્થાપિત કરવામાં એક સમય ગયો હતો. તેની સ્મૃતિરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનું નક્કી કર્યું છે. ત્યારથી આજના દિવસે આ દિવસ મનાવવામાં આવે છે.
વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના આ કાર્યક્રમમાં સહ પ્રભારી મંત્રી પી. સી. બરંડા સહિત અન્ય સૌ મહાનુભાવો સાથે સૌ ઉપસ્થિત નાગરિકો-વિદ્યાર્થીઓએ વિભાજન વિભીષિકાના પીડિતો માટેની નાટિકા નિહાળી ફિલ્મ નિદર્શન કર્યું હતું.
આ દરમ્યાન સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર સહિત અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
