હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર રોડ પર એક અજાણ્યો અને અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતો વ્યક્તિ મળી આવેલ હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ 112 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને સંવેદનશીલ રીતે સંભાળી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
પૂછપરછ દરમિયાન વ્યક્તિએ પોતાનું ગામ રાબડાલ (દાહોદ) હોવાનું જણાવેલ. ત્યારબાદ ગામના સરપંચ સાથે સંપર્ક સાધી વ્યક્તિનો ફોટોગ્રાફ મોકલવામાં આવ્યો. ઓળખ પુષ્ટિ થતા તરત જ વ્યક્તિને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો. આ વ્યક્તિ છેલ્લા આશરે ૧૫ દિવસથી ગુમ થયેલ હતી.
ગુમ થનાર વ્યક્તિનું નામ ચારેલ ગુલાબસિંહ સડીયાભાઈ એમી હતું. તેમની ઉંમર 35 વર્ષ હતી. તેઓ ગામ રાબડાલ, દાહોદના રહેવાસી હતા. આ સમગ્ર ઘટનામાં મકનભાઈ ચારપોટ (કોલર), વીણાબેન નરસિંહભાઈ (WPC), ઋતિક ડોડીયાર (પાઇલટ), નિલેશભાઈ ચરપોટ (HG) દ્વારા પ્રશંસનીય અને માનવતાભર્યો અભિગમ અપનાવી ઉત્તમ ફરજ નિભાવવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ પણ 112 ઇમરજન્સી સેવાની ઝડપી, સંવેદનશીલ અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, આપત્તિ કે આપત્કાલીન પરિસ્થિતિમાં સમયસર મળતી 112 ઇમરજન્સી સેવા જીવન બચાવવામાં અને પરિવારને ફરી મળાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
