હિન્દ ન્યુઝ, અમરેલી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભા તથા સહકારથી સમૃદ્ધિ – સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના સહકારિતા ક્ષેત્રમાં દીર્ઘ સમયથી સેવા આપતા વરિષ્ઠ વડીલો, સહકાર ક્ષેત્રના નવનિયુક્ત હોદ્દેદારો અને ઉત્કૃષ્ટ તજજ્ઞોનું સન્માન કરી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ આજે સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યો છે, જેમાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ ઉદાહરણરૂપ ભૂમિકા ભજવી છે. તેમણે રાજ્યના સહકારી ક્ષેત્રમાં થયેલ પ્રગતિની રૂપરેખા રજૂ કરી 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને આગામી તહેવારોમાં સ્વદેશી ઉત્પાદનો ખરીદી, માનનીય વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ના વિચારને સાર્થક કરવા અનુરોધ પણ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
