‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

    આ યોજના અંતર્ગત રાજ્યની 32,277 સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ. શ્રી અન્ન (મીલેટ)નો કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.

આ હેતુસર મટીરીયલ કોસ્ટ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને 50% માનદવેતન વધારો મળીને આ યોજના માટે સમગ્રતયા વાર્ષિક ₹617 કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તદ્અનુસાર, પી.એમ.પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને ₹4500નું માસિક માનદ વેતન, 26 કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક ₹3750 તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.1500 માનદ વેતન આપવામાં આવશે.

માનનીય વડાપ્રધાનએ ‘વિકસિત ભારત @ 2047’ના કરેલા આહવાનમાં વિકસિત ગુજરાતના નિર્માણથી રાજ્યને અગ્રેસર રાખવા ભાવિ સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત પેઢી તૈયાર કરવાની નેમ સાથે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ થકી પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું દેશનું અગ્રીમ રાજ્ય ગુજરાત દેશનું દિશાદર્શક બનશે.

Related posts

Leave a Comment