હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં ગત દિવસો પડેલ ભારે વરસાદને કારણે જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયાં હતાં, જેના લીધે જિલ્લાના કેટલાંય ગામો સંપર્કવિહોણા થઈ ગયા હતાં. આવા સમયે પાણીમાં અંતરિયાળ વિસ્તારમાં ફસાયેલા ગ્રામજનો જીવનજરૂરિયાતની વસ્તુઓથી વંચીત ન રહે અને તેમને જરૂરી ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
અતિવૃષ્ટિને કારણે ખંભાત તાલુકાના દેવપુરા ગામમાં અતિશય પાણી ભરાઇ જતાં સમગ્ર ગામ ટાપુ સમાન બની ગયું હતું. દેવપુરા ગામના લોકોને જીવન જરૂરીયાતની ખાદ્ય ચીજ વસ્તુઓ અને દવાઓને લીધે સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે ખંભાત તાલુકાના પ્રાંત અધિકારી કુંજલ શાહના નેજા હેઠળ ખંભાત તાલુકા વહીવટી તંત્ર દ્વારા આણંદ નગરપાલિકાની ફાયર ટીમના સહયોગથી બોટના માધ્યમથી ત્રણ વખત ૪ કિ.મી. લાંબુ અંતર કાપીને દેવપુરાના ૨૨૫ જેટલાં ગ્રામજનોને લગભગ ૪૦૦ કિ.ગ્રા. લોટ, ૩૫૦ કિ.ગ્રા. શાકભાજી, દવાઓ અને રોપ-લાઇફ જેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advt.