અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતા વેપારીઓ પાસેથી જ બિયારણ ખરીદવા નાયબ ખેતી નિયામકનો ખેડૂતોને અનુરોધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

   હવામાન વિભાગના આગાહી મુજબ રાજ્યમાં આગામી ચોમાસુ સીઝન ૧૯ મી જુન થી શરૂ થવાની સંભાવના છે. જેને ધ્યાને લઈ કપાસ પાકનું આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતોએ જ કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે.

આ ઉપરાંત બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.

   રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણનો અને રાસાયણિક ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જેથી સંભવિત જોખમ નિવારી શકાય.

જિલ્લાના ખેડૂતોને બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા તેમજ બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સિવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો જિલ્લા ખેતીવાડી કચેરી, ખેડૂત તાલીમ કેન્દ્ર, આદિવાસી મ્યુજીયમની સામે, છોટાઉદેપુર ઓફીસનો કામકાજના દિવસોમાં સવારે ૧૦:૩૦ થી સાજે ૬:૧૦ કલાક દરમિયાન સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની યાદીમાં જણાવાયું છે.


Advt.

Related posts

Leave a Comment