૧૬-આણંદ સંસદિય મતવિસ્તારમાં યોજાયાં‌ મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો

હિન્દ ન્યુઝ, આણંદ

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ચૂંટણીલક્ષી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ અંતર્ગત આણંદ લોકસભા મતવિસ્તારની ચૂંટણીમાં આણંદ જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

         આણંદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેમાં ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારના ધુવારણ, કણભા અને કલમસર ગામો ખાતે, ૧૦૯-બોરસદ વિધાનસભા મતવિસ્તારના કસુંબાડ, અમિયાદ અને દિવેલ ગામો ખાતે તેમજ ૧૧૨-આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યાં છે.  

આ મતદાન જાગૃતિ કાર્યક્રમો દરમિયાન ઉક્ત સ્થળોએ રંગોળી બનાવીને, મહિલા મતદારોને સાથે રાખીને હું અવશ્ય મતદાન કરીશ જેવા સ્લોગન સાથેના મતદાન અંગેના પોસ્ટરો હાથમાં લઈ મતદાર જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. મહિલા મતદારોને મતદાન આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને અચૂક મતદાન માટેના શપથ (પ્રતિજ્ઞા) લેવડાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમો દરમિયાન તમામ ગ્રામજનો અને ખાસ કરીને ગામની મહિલાઓને તેમના મતાધિકારનોન ઉપયોગ કરવા અને અન્યોને પણ મતદાન કરવા અંગે પ્રેરિત કરવા જણાવવામાં આવ્યું હતું.

આ મતદાન જાગૃતિ કાર્યક્રમોમાં ગામના તલાટી, આઈસીડીએસ સુપરવાઈઝર, આંગણવાડી કાર્યકર બહેનો, સખીમંડળની બહેનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

Related posts

Leave a Comment