ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા જામનગર આરોગ્યતંત્રની અપીલ

હિન્દ ન્યુઝ, જામનગર

     ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સનસ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. લુ લાગવા (સનસ્ટ્રોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે.

આ અસરોમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મજુરી કરીને જીવન ગુજારતા મજુરોમાં સન સ્ટ્રોકની વધુ અસર થવાની શક્યતા છે અને ક્યારેક તે જીવલેણ પણ સાબીત થાય છે.

સન સ્ટ્રોક (લુ)થી બચવા માટે ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું.

ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કપડા પહેરવા જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહી.

દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ.

 ભીના કપડાથી માથું ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.

ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.

માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી. તેમ આરોગ્ય શાખાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment