જાહેરનામું : બોટાદ/ગઢડા/બરવાળા નગરપાલિકાઓનાં વિસ્તારોમાં જાહેરમાર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઈ પણ વ્યક્તિને ઘાસચારાનું વેચાણ કરવું નહીં કે જાહેરમાં ઘાસચારો નાખવો નહીં

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં વાહન ચાલકો અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે, ટ્રાફિક નિયમન થઈ શકે તેમજ મનુષ્યનાં જાન, સ્વાસ્થ્ય તથા સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.શાહ દ્વારા બોટાદ/ગઢડા/બરવાળા નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ઘાસચારો નાખવા તથા વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એ.શાહ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી)(સી)થી મળેલી સત્તાની રૂએ ઉક્ત મુજબ અમલવારી કરવા ફરમાવ્યું છે.

બોટાદ/ગઢડા/બરવાળા નગરપાલિકાઓનાં વિસ્તારોમાં જાહેરમાર્ગો, ફુટપાથ તથા જાહેર સ્થળો ખાતે કોઈ પણ વ્યક્તિને ઘાસચારાનું વેચાણ કરવું નહીં કે જાહેરમાં ઘાસચારો નાખવો નહીં. બોટાદ/ગઢડા/બરવાળા નગરપાલિકાઓનાં વિસ્તારોમાં માલિકીનાં ઢોરને જાહેરમાં તેમજ રસ્તાઓ ઉપર છોડી મુકવા નહીં કે રખડતા ભટકતા રહે તેમ રાખવા નહીં કે છોડી મુકવા નહીં.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની ૧૮૮ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧માં દર્શાવેલી શિક્ષાને પાત્ર ઠરશે. જાહેરનામાનાં ભંગ બદલ ગુનો માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનાં પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું ૫ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Related posts

Leave a Comment