હિન્દ ન્યુઝ, મહિસાગર
સરસ્વતી હોલ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્ય મંત્રી અને સંતરામપુર ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોરની વર્ચુઅલી ઉપસ્થિતિમાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૦૨૧-૨૨ ના આયોજન અંગે મહીસાગર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક કોવિડ-૧૯ ની પરીસ્થિતિને ધ્યાને લઇ સામાજીક અંતર જાળવી વર્ચ્યુઅલી યોજવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી વીસી હોલ લુણાવાડા ખાતે આ બેઠકમાં લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક તથા જિલ્લા કલેક્ટર ડૉ.મનીષકુમાર, પ્રાયોજના વહીવટદાર પાટીદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા પંચાયત વીસી હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ડામોર, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણી, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ અને સંતરામપુર મામલતદાર કચેરી ખાતે કડાણા અને સંતરામપુરના અધિકારીઓ પદાધિકારીઓએ ચર્ચા વિચારણામાં ભાગ લઇ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષના કામોને બહાલી આપી હતી.
આ બેઠકમાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૦૨૧-૨૦૨૨ ના વર્ષનું કુલ રૂપિયા ૧૬૨૬ લાખની જોગવાઇ સામે ૧૭૭૦ લાખનું આયોજન ૧૦૮.૮૬ ટકા કામોને બહાલી આપવામાં આવી ત્યારે મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૦-૨૦૨૧ ના વર્ષના બાકી કામો સત્વરે પૂર્ણ થાય તે માટે જે તે વિભાગ ધ્વારા સત્વરે ધટતી પ્રક્રિયા હાથ ધરવા તેમજ આ યોજના હેઠળ ફાળવેલ ગ્રાન્ટના કામો સમય મર્યાદામાં પુર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી. મીટીંગની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમારે શાબ્દિક સ્વાગત અને અંતમાં આભાર દર્શન કર્યું હતું.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર