હિન્દ ન્યૂઝ, જેતપુર
જેતપુર તાલુકાના સીમ વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી સાતેક જેટલા સિંહોએ ધામા નાખી ને પાલતું પ્રાણીઓના શિકાર કરી ને ખેતરોમાં પડ્યા રહેતા હોવાથી ખેડૂતો રવિ પાકની સીઝનમાં સિંહઓ ના ડરે થી ખેતરે પણ જઈ શકતા ન હોવાથી નવ ગામના સરપંચો દ્વારા સિંહોને તાત્કાલિક જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેતપુર તાલુકાના થાણાગાલોર મુકામે પંદરેક દિવસ પૂર્વે સિંહોએ બે બળદનું મારણ કર્યું હોવા છતાં ખેડૂતોએ સિંહ આપણા મહેમાન કહેવાય છે તેમ કહીને તેનું સ્વાગત કર્યું હતું. પરંતુ હવે સિંહો તો આ વિસ્તારમાં ધામા નાંખીને રોજે રોજ કોઈને કોઈ ખેડૂતના પાલતુ પ્રાણીઓના શિકાર કરતા હોય ખેડૂતોમાં સિંહો પ્રત્યે રોષ ફેલાઈ ગયો છે. જેમાં સિંહોએ અમરાપર ગામના સીમ વિસ્તારમાં એક ભેંસનો શિકાર કરતા કાલે ખારચીયા, થાણાગાલોર, અમરાપર, રેશમડીગાલોર, રૂપાવટી, ડેડરવા, દેવકીગાલોર, ટીંબડી અને બોરડી સમઢીયાણા ગામના સરપંચો એકઠા થઇ જંગલ ખાતાને ટેલીફોનીક રજુઆત કરી હતી કે, ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો અને રવિ પાક પર આશા છે. જેમાં હાલ ઘણા ખેડૂતોને રવિ પાકનું વાવેતર કરવું હોય અને વાવેતર થઈ ગયેલ પાકને પિયત કરવું હોય તેમજ પાકી ગયેલ કપાસ પણ ઉતારવાનો છે. પરંતુ સિંહના ડરને કારણે કોઈ મજૂરો ખેત મજૂરીએ આવતા નથી. અને પાકને પિયત કરવા માટે ખેડૂતો ખેતરે પણ જઈ શકતા નથી. બીજીબાજુ વન ખાતા દ્વારા સિંહ બાબતે કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેતપુર વન ખાતા આરએફઓને કોઈ સરપંચે હજુ સુધી જોયા નથી એટલે કે તેઓ તેમની કચેરીએ કે અહીં ગામડાઓમાં આવતા જ ન હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. જેથી આરએફઓને સરપંચોએ સિંહોને કોઈને કોઈ રીતે અહીંથી ખસેડી જવાની ટેલીફોનિક માંગ કરતા આરએફઓ દ્વારા અઠવાડિયાની રાહ જોવાનું કીધું હતું. પરંતુ ખેડુતો આ રેવન્યુ વિસ્તાર હોય ખેડૂતો હવે કોઈ કાળે રાહ જોવા તૈયાર ન હોવાનું જણાવ્યું હતું. અને જેને લઈને આજે જેતપુર મામલતદારને ૯ જેટલા પ્રભાવિત ગામના સરપંચોએ આવેદન આપી સિંહો ખસેડવા તેમજ દિવસ પાળી વીજ પુરવઠો આપવા સહિતની રજૂઆતો કરી હતી.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર