હિન્દ ન્યુઝ, જામનગર
શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર દ્વારા ‘યુથ એમ્પાવરમેન્ટ’ વિષય પર પ્રેરક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજના ૬૦૦થી વધુ ફેકલ્ટી સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું.
આરોગ્ય સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાન અને જાગૃતિ દ્વારા યુવાનો કેવી રીતે સમાજ અને પોતાની જાતને સશક્ત બનાવી શકે તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરતા આ સેમિનારમાં પ્રખ્યાત વક્તાઓએ આરોગ્યના ત્રણ પાયાના વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.જેમાં ડો. રોહિત રામે સારા પોષણ અને તેના મહત્વ વિશે માહિતી આપી, ડો. તેજલ મકવાણાએ પાંડુરોગ નિયંત્રણના મહત્વ પર ભાર મૂક્યો જ્યારે ડો. હેમાંગીની ખરાડીએ કિશોર શિક્ષણ અને આરોગ્ય અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ ઇન્ટરએક્ટિવ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓએ ઉપયોગી જાણકારી મેળવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તેમજ સાર્વજનિક આરોગ્યમાં સક્રિય ભૂમિકા નિભાવવાની પ્રેરણા મેળવી હતી.કાર્યક્રમમાં હાજર રહેલા સહભાગીઓએ આ પહેલની ઉષ્માભરી પ્રશંસા કરી અને જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યે નૈતિક જવાબદારીની ભાવના જાગૃત કરે છે તથા હેલ્ધી અને સશક્ત ભવિષ્ય માટે યોગદાન આપવાની પ્રેરણા આપે છે. આયોજક ટીમે સેમિનારની સફળતા પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ સેમિનાર અત્યંત સફળ રહ્યો હતો અને ઉપસ્થિતોને જ્ઞાન અને ક્રિયાશીલતા દ્વારા સમુદાયને સશક્ત બનાવવાની દિશામાં પ્રેરણા આપી હતી.
