પાંચમી સપ્ટેમ્બર : શિક્ષક દિન
હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના બાકરોલ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા શિક્ષક દિન ઉજવણી કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપનાર શિક્ષકોને, શાળાઓને તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાની પરંપરા અને સમાજના ઘડતરમાં શિક્ષકના અમૂલ્ય યોગદાન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, શિક્ષકો સમાજ નિર્માણનું અને આવનારા સમયમાં દેશના “વિકસિત ભારત” ના લક્ષ્યને સાકાર કરવાનું કાર્ય કરી રહ્યા છે.
શિક્ષકોને વર્તમાન પડકારોનો સામનો કરવા અને સમાજમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષકોએ પર્યાવરણ સુરક્ષાની સાથે વીજ બચત, વૃક્ષારોપણ, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા મુદ્દાઓ પરત્વે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે ગુરૂ તરીકેની વિશેષ ભૂમિકા ભજવવી પડશે.
સમાજમાંથી અંધશ્રદ્ધા નાબૂદ કરવા અને બાળકોને રાષ્ટ્રભાવનાના પાઠ ભણાવવા પર પણ ભાર મૂકતા નાયબ મુખ્ય દંડકશ્રીએ શિક્ષણમાં નબળા વિદ્યાર્થઓની વિશેષ કાળજી દ્વારા મુખ્ય પ્રવાહમાં લાવવાના શિક્ષકોના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, શિક્ષક સમાજની સૌથી નજીક અને સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ છે, તેથી જ સમાજજીવનને યોગ્ય દિશામાં લઈ જવાની વિશેષ જવાબદારી શિક્ષકોની રહે છે.
તેમણે આ તકે આણંદ જિલ્લાને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ બનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરી ઉપસ્થિત સૌને સાથે મળીને “વિકસિત ભારત”ના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, શિક્ષક એ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનના સાચા માર્ગદર્શક છે, જે વિદ્યાર્થીઓમાં માત્ર વિદ્યા જ નહીં, પરંતુ સંસ્કાર, મૂલ્યો અને જીવન જીવવાની કળા પણ વિકસાવે છે.
આ પ્રસંગે કલેક્ટરએ તેમના દાદાજીના શિક્ષક તરીકેના સમર્પણ, શિસ્ત અને સાદગીપૂર્ણ જીવનના અનુભવોને યાદ કરીને શિક્ષક પ્રત્યેની પોતાની વિશેષ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ગુરુને ભારતીય પરંપરામાં સર્વોચ્ચ સ્થાન આપવાની વાત દોહરાવતા જણાવ્યું હતું કે, આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓમાં ક્રિટીકલ થિંકિંગ અને માનવીય મૂલ્યો સ્થાપિત કરવામાં શિક્ષકની ભૂમિકા વધુ મહત્વની બની ગઈ છે.
કલેક્ટરએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે અને ક્લાઈમેટ ચેન્જ જેવા વૈશ્વિક પડકારો સામે ભવિષ્યની પેઢીને તૈયાર કરવામાં શિક્ષકોના અત્યંત મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવી વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલ મિશન લાઈફના ૭૨ જેટલા પગલાંઓ દ્વારા વિદ્યાર્થીઓ સહિત પ્રત્યેક વ્યક્તિ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બની પોતાની જવાબદારી નિભાવી શકે તે માટે કાર્ય કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે પોતાના ભૂતકાળના શિક્ષક તથા આચાર્ય તરીકેના સંસ્મરણો વર્ણાવી આજની સાંપ્રત પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશના ભાવી નાગરિકોનું શ્રેષ્ઠ ઘડતર કરવાની પવિત્ર ફરજ શિક્ષકો નિષ્ડાપૂર્વક બજાવે તે માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના વરદહસ્તે જિલ્લા કક્ષાના ૩ અને તાલુકા કક્ષાના ૭ શ્રેષ્ઠ શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંતની સમાજલક્ષી સેવા આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોમન એન્ટ્રસ ટેસ્ટ તથા જ્ઞાન સાધના જેવી પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તથા જિલ્લામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ગઢવીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી, કાર્યક્રમના અંતે જિલ્લા શિક્ષણાધિકાર શ્રી કામિનીબેન ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.
શિક્ષક દિનની ઉજવણી પ્રસંગના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતી, શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલ સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પટેલ સહીતના જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા વિવિધ શાળાના આચાર્યો – શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
